પાલનપુરથી એક્ટિવા ઉપર પોતાના ઘર તરફ જઈ રહેલા કાકા ભત્રીજાને કાણોદર હાઇવે નજીક સામેથી દોડીને આવી રહેલા આખલાએ અડફેટે લેતા બંનેને સામાન્ય ઇજા પહોંચી હતી. અવારનવાર આ માર્ગ ઉપર દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધવા લાગ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇને લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાણોદર ગામના નામે અશોકભાઈ ભેમાભાઈ વાઘેલા અને તેમનો ભત્રીજો નામે તનિષભાઈ વાઘેલા પાલનપુર તરફથી પોતાના ઘરે કાણોદર મુકામે આવી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કાણોદર હાઇવે ઉપર આખલાએ એક્ટિવા પર સવાર બંને કાકા ભત્રીજાને અડફેટે લીધા હતા તેથી બન્ને એક્ટિવા સવાર નીચે પડી ગયા હતા. સદનસીબે બંને જણને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે પાછળથી આવી રહેલ ઇકો ચાલકે સમયસર બ્રેક લગાવી લેતા બંનેનો આબાદ બચાવ થયો હતો. અવારનવાર રખડતા પશુઓને લીધે અનેક લોકોના મોત થયા છે, તેમ છતાં તંત્ર માત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યુ છે. ઘણા લોકોએ પોતાના પરિવારજનોને ઘુમાવ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
રિપોર્ટર – સમા સદ્દામ