કોર્પોરેટર હોય તો આવા…!:ગાંધીનગરમાં ઘ-6 પાસે પાણી ભરેલા ખાડામાં કિશોર પડ્યો, ફોન ફેંકી કોર્પોરેટર કૂદી પડ્યાં ને જીવ બચાવ્યો
*પાણી-ગટરની આડેધડ કામગીરીમાં પડેલા ખાડા ચોમાસામાં કોઈનો જીવ લેશે
ગાંધીનગરમાં ચોમાસા ટાણે જ ચાલતા ખોદકામ અને આદેધડ થતું પુરાણ કેટલું ગંભીર બની શકે તેનો દાખલો મળી ગયો હતો. જેમાં ઘ-6 સર્કલ પાસે શુક્રવારે સવારે 15 વર્ષનો કિશોર પગપાળા જતો હતો. આ સમયે સર્કલ પાસે જ ભરાયેલા પાણીમાં તે ગરકાવ થઈ ગયો હતો.
*ગુણવંતભાઈએ કિશોરનો હાથ પકડીને બહાર ખેંચ્યો
આ સમયે વોર્ડ 5ના કોર્પોરેટર પદ્મસિંહ ચૌહાણ અને મહિલા કોર્પોરેટર કૈલાસબેનના પતિ ગુણવંતભાઈ સુતરિયા ત્યાંથી પસાર થતા હતા. સમય સૂચકતા સાથે બંને ત્યાં પહોંચી ગયા હતા. જેમાં પદ્મસિંહે ગુણવંતભાઈની મદદથી કિશોરનો હાથ પકડીને બહાર ખેંચી લીધો હતો. બંને સમયસર ન પહોંચ્યા હોત તો એક નિર્દોષ કિશોરનો જીવ જતો રહ્યો હતો.
*સમગ્ર મુદ્દે કોર્પોરેશને અધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવાયો
ઉલ્લેખનીય છે કે શહેરમાં ગટર અને પાણીની લાઈનની કામગીરીને પગલે ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય છવાયેલું છે. પાણીની લાઈનની કામગીરી સમયે અહીં પીવાના પાણીની જૂની લાઈનમાં ભંગાણ થયું હતું. જેને પગલે સવારે અહીં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક કોર્પોરેટર્સ અને મેયર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને કામગીરી કરવા માટે સુચના આપી હતી. સમગ્ર મુદ્દે હવે કોર્પોરેશન દ્વારા અધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવાયો છે જેમાં જો એજન્સીની કોઈ ભૂલ હશે તો તેની સામે પગલાં લેવાની તૈયારી કોર્પોરેશને કરી છે.
*મેયરે કામગીરી કરવા કીધું પણ એજન્સી પાસે મોટર જ ન હતી
પાણીની લાઈનમાં ભંગાણ થતાં મેયર હિતેશ મકવાણા પણ દોડી આવ્યા હતા જેઓએ તાત્કાલિક પાણીની લાઈનની કામગીરી કરતી એજન્સીના માણસોને બોલાવીને ઠપકો આપ્યો હતો. તેઓએ પાણી ખાલી કરીને કામગીરી કરવા કહ્યું હતું જોકે એજન્સી પાસે મોટર જેવી વ્યવસ્થા પણ ન હોવાથી તંત્ર દ્વારા મોટર સહિતની વ્યવસ્થા કરાઈ હતી.
*છોકરો પડતાં જ હું ફોન ફેંકીને ભાગ્યો
સવારે 7.30 વાગ્યે કેટલાક વાલીઓનો ફોન આવ્યો હતો કે પાણીની લાઈન તૂટી છે. એટલે હું અને ગુણવંતભાઈ સ્થળ પર ગયા હતા, અધિકારીઓ અને જવાબદારોનો બોલાવીને કામગીરી ચાલી રહી હતી. મેયર પણ સ્થળ પર આવીને કામગીરી કરવાની સૂચના આપી ગયા હતા. કામગીરી દરમિયાન અમે ત્યાં જ ઉભા હતા. 11 વાગ્યે અહીં પગપાળા આવતા કિશોરનો પગ લપસતા તે ખાડામાં પડ્યો હતો. હું તેને જોઈ જતાં મારો ફોન ફેંકીને દોડ્યો હતો. હું ફુટપાથ પર સુઈને અડધાથી ઉપર પાણીમાં જતો રહ્યો અને ગુણવંતભાઈએ મારા પગ પકડી રાખ્યા હતા. જેથી મેં તાત્કાલિક કિશોરને પકડીને બહાર ખેંચી લીધો હતો. જો સમયસર તેને ન જોયો હોત તો તે ડૂબી જાય તેવી સ્થિતિ હતી.> પદ્મસિંહ ચૌહાણ, કોર્પોરેટર
*જાનહાની થાય તો જવાબદારો સામે ફોજદારી થશે?
મનપા વિસ્તારમાં નવી પાણીની લાઈન અને ગટરની કામગીરી સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ પાયોવિના અધિકારીઓ અને પાણી પુરવઠા વિભાગની દેખરેખ હેઠળ થાય છે. જોકે બંને કામગીરીમાં કોર્પોરેશનને કોઈ ગાંઠતુ ન હોવાની ફરિયાદો અઠવાડિયા પહેલાં જ જિલ્લા પ્રભારી હર્ષ સંઘવી સુધી થઈ હતી. જેને પગલે તેઓએ પણ 10 દિવસમાં શહેરમાં પડેલાં ખાડા સહિતના પુરાણ કરી દેવા સુચના આપી હતી. એટલું જ એજન્સીઓએ ખોદેલા કોઈ ખાડામાં જાનહાની થઈ તો કેસ કરવા સુધીની ચીમકી પ્રભારીમંત્રીએ આપી હતી.
અહેવાલ – તેજાજી ચૌહાણ