રાજકોટમાં ચોવીસ કલાકમાં ધીમી ધારે ૨ ઈંચવરસાદ પડયો છે અને આ વરસાદના કારણે નહીં પણ પ્રજાને સ્પર્શતા રોજબરોજના પ્રશ્નોમાં રોજબરોજની કામગીરીમાં બેદરકારી રાખીને કરોડોના બિલો બને તેવા પ્રોજેક્ટોમાં રચ્યાપચ્યા રહેવાની મનોવૃતિના કારણે શહેરમાં ખુદ મનપા કચેરીની આજુબાજુ જાઓ તો પણ રસ્તા પર જોખમી ગાબડાં પડી ગયા છે.
વર્ષમાં રસ્તાના નામે રૂ।.૫૦ કરોડનું આંધણ કરી નંખાયા છતાં અને ગત વર્ષ કરતા હજુ અર્ધો વરસાદ પણ નથી વરસ્યો ત્યાં ભંગાર રસ્તાની સમસ્યાએ મોં ફાડયું છે. અગાઉ જ્યારે બિસ્માર રસ્તાની ફરિયાદો ઉઠી ત્યારે કમિશનરે બે દિવસમાં સર્વે કરીને પગલા લેવાની વાતો કરી. બાવીસ દિવસ પછીય સર્વેમાં શુ ઉકાળ્યું તે જાહેર કરાયુ નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તાના ગાબડાંની નથી તપાસ થઈ કે નથી સમયસર મરમ્મત કરાવાતી.
આ કારણે મનપા કચેરીની પાછળ, જામનગર રોડ,કુવાડવા રોડથી માંડીને એસ.ટી. બસ સ્ટેશન આસપાસ લોકો બહારગામથી આવીને રાજકોટના મહેમાન થાય ત્યાં જ ભંગાર રસ્તા, ગારા કીચડની સમસ્યા મોં ફાડી રહી છે.
કાલાવાડ રોડ પર લોકોને મૂશ્કેલી વધે તે રીતે ચોકને બંધ કરવામાં કોઈ નીતિ કે નિયમના ટેકા વગર અમલ કરાવાયો પણ ત્યાંય ત્રણ કરોડના આંધણ પછી આજે ભંગાર રસ્તો છે. ઈન્દિરા સર્કલ જેવા ધમધમતા ચોકમાં રસ્તા વચ્ચેના ખાડા માત્ર એ.સી.કારમાં જ ફરતા મનપાના સત્તાધીશોના ધ્યાને ચડતા નથી.
બીજી તરફ ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે શહેરને ડેંગ્યુ અને મેલેરિયા સહિતનો રોગચાળો ભરડો લઈ રહી છે છતાં શરુઆતમાં માત્ર પાણીપૂરીનું ચેકીંગ કરીને હાલ સપ્તાહથી ફૂડ ચેકીંગ બંધ છે. તો પ્રદુષિત પાણીની વ્યાપક ફરિયાદો વચ્ચે પાણીનું બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કરીને પગલા લેવાતા નથી અને કાગળ પર ચેકીંગ દેખાડી દેવાય છે.
આજે રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં ઢેબરરોડ પર અને ઈસ્ટઝોનમાં બેડીપરા ખાતે એક ઈંચ વરસાદતો કાલાવડ રોડ પર માત્ર અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલથી આજ સુધીમાં સવા બે ઈંચ વરસાદ પડયો છે. આ વરસાદી પાણી ઠેરઠેર ભરાતા માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે પણ મનપા દ્વારા સઘન સફાઈ ઝૂંબેશનું હાલ આયોજન નથી!
પડતર કચરા પર પાણી પડતા દુર્ગંધ અને જીવજંતુનો ઉપદ્રવ વધે છે પણ વન ડે વન વોર્ડ જેવી ઝૂંબેશ અગાઉ પૂરી થઈ ગઈ છે અને હાલતંત્ર જાણે કરોડોના પ્રોજેક્ટોમાં રચ્યુપચ્યુ છે.
રાજકોટમાં ધીમો વરસાદ , મનપાની આસપાસ જ ગાબડાં
Views 61