ઘરના મોભીને કાળ ભેટી ગયો:રાજકોટ નજીક ઇકો કાર ધડાકાભેર અથડાતા છકડો રિક્ષા પલટી, માથુ છૂંદાઇ જતા ચાલકનું મોત, પત્ની, ત્રણ સંતાનને ગંભીર ઇજા
રાજકોટ-મોરબી હાઇવે પર ગવરીદળ પાસે ગત રાત્રે સવા બાર વાગ્યે છકડો રિક્ષા સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. આથી છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમા રિક્ષાચાલક યુવાનનું માથુ છૂંદાઇ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્ની, અને ત્રણ સંતાનોને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. કચ્છમાં ભંગાર વેચી પરત ભેસાણ જતી વખતે ઘરના મોભીને કાળ ભેટી જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
*પરિવાર ભેસાણથી ભંગાર રિક્ષામાં ભરી કચ્છ વેચવા ગયો હતો
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ભેસાણમાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં સાગરનાથ શાંતુનાથ માંગરોલીયા (ઉં.વ.37) પોતાની છકડો રિક્ષામાં ભંગાર ભરી કચ્છ વેચવા ગયો હતો. તેની સાથે તેના પત્ની ટીન્કુબેન, પુત્ર મિલન, રાજ અને પુત્રી ગોપી પણ ગયા હતા. ભંગાર વેચી ગત સાંજે પરત ભેસાણ જવા કચ્છથી રવાના થયા હતાં. એ દરમિયાન રાતે બારેક વાગ્યે ગવરીદળ પાસે પહોંચ્યા ત્યારે છકડો સાથે ઇકો કાર ધડાકાભેર અથડાતાં છકડો પલટી મારી જતા ચાલક સાગરનાથ દબાઇ જતાં માથુ છુંદાઇ જતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
*ઇકો કાર ચાલક ભાગી જતા પોલીસે ગુનો નોંધ્યો
અકસ્માત સર્જી ઇકો કાર મૂકીને ચાલક ભાગી ગયો હતો. સાગરનાથની પત્ની, બે પુત્ર અને એક પુત્રીને ઇજા થતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી વાહનો સાઇડમાં લેવડાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામનાર સાગરનાથ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો ભાઈ હતો. તેના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.