બે ભાઈઓ તળાવમાં ન્હાવા પડતા ડૂબવા લાગ્યા હતા જેને બચાવવા જતા ત્રીજો મિત્ર પણ ડૂબ્ય
પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી
દહેગામના સાંપાથી મહમદપૂરા તરફ જતા પીપળીયા તળાવમાં બે સગા ભાઈ સહિત ત્રણ મિત્રોનું ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ગઈકાલે શુક્રવારે રાતથી તળાવમાં ડૂબેલા મિત્રોની લાશ આજ સવારે તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ત્યારે રખિયાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા
દહેગામ તાલુકાના સાંપા ગામમાં રહેતા 35 વર્ષીય કુલદીપ અંબાલાલ પટેલ તેમજ તેનો ભાઈ યોગેશ, સંજય ગોવિંદભાઈ પટેલ, જગદીશ પટેલ તેમજ અન્ય બે મિત્રો મળી કુલ છ લોકો ગઈકાલે શુક્રવારે પીપળીયા તળાવ પાસે ગયા હતા. જેમાંથી સંજય અને કુલદીપ તળાવમાં ન્હાવા પડ્યા હતા.
જોકે, તે ડૂબવા લાગતાં યોગેશ પટેલ તેમને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો. જ્યારે બે મિત્રો ગભરાઈ જતાં ભાગી હતા અને જગદીશે ગામમાં જઈને અંબાલાલ પટેલને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. પરંતુ અંધારું હોવાથી ત્રણેયને શોધવા મુશ્કેલ ભર્યું હતું. જોકે, એક્ટિવા તેમજ ચંપલો તળાવ પાસે છૂટા છવાયા મળી આવ્યાં હતા.
તરવૈયાની મદદથી મિત્રોની લાશ બહાર કઢાઈ
આ ઘટનાને પગલે આજે શનિવારે સવારે તરવૈયાની ટીમને બોલાવીને ફરી શોધખોળ શરૂ કરાઈ હતી. તરવૈયાઓએ એક પછી એક ત્રણેય મિત્રોની લાશ બહાર કાઢી હતી. આ અંગે પીએસઆઇ આશાબેન ગામીતે જણાવ્યું હતું કે, છ મિત્રો તળાવ પાસે આવ્યાં હતા. જેમાથી બે જણા ન્હાવા પડ્યાં હતા. જેઓ ડુબવા લાગતા એક મિત્ર તેને બચાવવા પડ્યો હતો. જેઓની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાઈ છે.
બે મિત્રો ન્હાવા પડતાં સમગ્ર ઘટના ઘટી
બે ભાઈ પૈકી યોગેશને પરિવારમાં પત્ની દેવિકા તેમજ 8 વર્ષનો પુત્ર રૈયાન છે. તેમજ સંજય પણ પરણિત છે જેને પણ એક સંતાન છે. નાસી ગયેલા બે મિત્રોની તપાસ ચાલી રહી છે. ત્યારે ગામમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ છ મિત્રો દારૂની મહેફિલ માણીને તળાવ પાસે અંધારામાં જમવા માટે આવ્યાં હતા. એ દરમિયાન બે મિત્રો ન્હાવા પડતાં સમગ્ર ઘટના ઘટી હતી. જોકે, આ બાબતે પોલીસ હાલમાં કઈ પણ ખબર નહીં હોવાનું રટણ કરી રહી છે.
બપોરે દારૂની મહેફિલ માણી, સાંજે તળાવ કિનારે જમવા ભેગા થયા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં પાણીમાં ગરકાવ થતાં ત્રણેય યુવકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ સૂત્રો મુજબ, દુર્ઘટના દરમિયાન હાજર જગદિશ પટેલે ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેમાં સાંપા ગામના ચાર યુવકો તેમજ અમદાવાદના બે લોકો સહિત છ લોકોએ ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી. બપોરે મહેફિલ માણ્યા બાદ રાતે જમવાનો પોગ્રામ ગોઠવ્યો હતો. ત્યારે હોટલમાંથી જમવાનું મંગાવી તળાવ કિનારે ભેગા થયા હતા. આ દરમિયાન નશાની હાલતમાં સંજય પટેલ તેમજ કુલદિપ પટેલ ન્હાવવા પડ્યા હતા. જોકે, બન્ને પાણીમાંથી બહાર ન આવતા કુલદિપનો ભાઇ યોગેશ પટેલ બચાવવા માટે તળાવમાં કુદ્યો હતો. ત્યારબાદ ત્રણેય લાપતા થઇ ગયા હતા. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.