થરાદ તાલુકામાં આવેલા નાગલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં થરાદ શહેરની એક સગીરાએ કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. જેના કારણે પૂરા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ત્યારબાદ થરાદ તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઇને કાર્યવાહી હાથ ધરી હતી. નાગલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં એક યુવતીને ઝંપલાવતાં એક રાહદારીએ જોઇ હતી. જ્યારે કેનાલના કિનારે ચંપલ જોવા મળતાં જ આ અંગે થરાદ નગરપાલિકાને જાણ કરવામાં આવતાં ફાયર ઓફિસર વિરમ રાઠોડ અને તરવૈયા સુલતાન મીરની ટીમ સાથે કેનાલ પર આવી ગયા હતા. જ્યાં રેસ્ક્યુ કરી તે યુવતીના મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો હતો. આ યુવતી વિષે કોઇપણ જાતની ઓળખ નહી થતાં સોશિયલ મીડિયા દ્વારા મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાના કારણે નાગલા ગામની સીમમાં આવેલી નર્મદાની કેનાલ પર બહોળી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જો કે થોડા સમય પછી જ આ સગીરાની ઓળખ મળી ગઈ હતી, આ સગીરાનું નામ મુસ્કાનબેન અયુબભાઈ ચૌહાણ જેની ઉંમર વર્ષ આશરે 17 હતી, તેમજ તે થરાદ શહેરના પશુ દવાખાના વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ સગીરા પરિવારના બોલવાથી રિસાઇને સવારે ઘરેથી નિકળી ગઈ હતી, એવું જાણવા મળ્યું હતું. આ દરમિયાન કેનાલ પરથી પસાર થયેલા નાગલા ગામના યુવા અગ્રણી કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ દીકરી નાગલા ગામના નર્મદા નહેરના પુલ ઉપર સવારે ઉભી હતી. ત્યારે મને એવું લાગ્યું હતું કે આ દીકરી કંઇક અજુગતુ કરશે! પણ બીજા લોકો શુ કહેશે એની બીકમાં હું પુછી શક્યો નહી.
રિપોર્ટર – સમા સદ્દામ