- પત્નીને છૂટાછેડા આપવાની વાત કરી વારંવાર દુષ્કર્મ આચર્યુ
- ત્રણ વખત ગર્ભપાત કરાવ્યા બાદ ઘરે બોલાવીને લગ્નની ના પાડી
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી એક યુવતીને પરિણિત ડ્રાઇવર સાથે પ્રેમ કરવાનો ભારે પડયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીએ તેની પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને તેને યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.તેના કારણે યુવતીએ ત્રણ વખત ગર્ભપાત કરાવ્યો હતો, અને તાજેતરમાં જ પ્રેમીએ યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ આ યુવતીને માર મારીને કાઢી મૂકી હતી. ત્યારબાદ યુવતીએ તેના પ્રેમી સામે ફરિયાદ નોધાવી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી યુવતીએ નોબલનગરમાં રહેતા ચવાજી શંકરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે કે, યુવતી બે વર્ષ પહેલા નરોડા વિસ્તારમાં પાણીની બોટલો ભરવાની નોકરી કરતી હતી. તે સમયે જ્યાં આરોપી પાણીની બોટલો લાવવા લઇ જવા માટે વાહન લઇને આવતો હતો, જ્યાં તેની સાથે વાત-ચીત તેમજ ઓળખાણ થતાં અવાર-નવાર વાતો કરીને હસી મજાક કરતી હતી.
ત્યારે યુવક આ યુવતીને રોજ કહેતો હતો કે હું તને પ્રેમ કરું છું, અને તારી સાથે લગ્ન કરીશ તેવી વાત પણ કરી હતી. અને બીજી તરફ યુવતીને પણ યુવક પસંદ હોવાથી બન્ને જણા પ્રેમમાં પડયા હતા. જેથી આ બન્ને અવાર-નવાર હોટલમાં જતા હતા તેમજ બન્ને જણાએ શારિરિક સબંધ પણ બાંધ્યો હતો. જેના કારણે આ યુવતીએ ત્રણ વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં તે યુવકે યુવતીને ઘરે બોલાવી હતી અને કહ્યું હતું કે, હું પરણિત છું અને હું મારી પત્નીને છૂટાછેડા આપવાનો નથી અને તારી સાથે લગ્ન નહી કરું. તેવું કહીને આ યુવતીને માર પણ માર્યો હતો. ત્યારબાદ આ યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યુવતીએ તેના પ્રેમી સામે ફરિયાદ કરતા સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી