બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં રાત્રે ખેતરે જઈ રહેલા યુવકની અજાણ્યા શખ્સોએ માથામાં પથ્થર તથા ધોકા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. દાંતીવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દાંતીવાડા તાલુકામાં આવેલા ડેરી ગામના ગણેશાજી પાંચાજી રબારી બુધવારના રોજ મોડી રાત્રે ઘરેથી જમ્યાં પછી ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. જેમની રસ્તામાં કોઈ અજાણ્યા ઈસમે માથા અને કાનના ભાગે પથ્થર તેમજ લાકડાના ધોકાના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને કારણે ગણેશાજીના ઘરમાં શોક મચી ગયો હતો. તેમજ ગણેશાજીના બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્ર-છાયા ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
આ હત્યાના પગલે દાંતીવાડા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પી.એસ.આઇ. સ્નેહિત દેસાઈ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ યુવકના મૃતદેહને પાંથાવાડા ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલની મદદ લઈ અજાણ્યા હત્યારાને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ગણેશાજી રબારીએ પોતાના ખેતરમાં ચોમાસું બાજરી વાવી હતી. જેનો પાક તૈયાર થઈ ગયો હોવાથી બાજરી વાઢવાનુ કામ ચાલુ કર્યું હતું. આથી તે છેલ્લા બે દિવસથી રાત્રે ખેતરમાં સુવા માટે જતો હતો. આ દરમિયાન બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ તેના ઉપર હુમલો કરીને કરપીણ હત્યા કરી હતી. આ બનાવના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
રિપોર્ટર – સમા સદ્દામ