- પડોશીએ તકરાર કરી મહિલાની આબરુ લેવાનો પ્રયાસ કરી દંપતિને માર માર્યો
અમદાવાદ શહેરમાં આવેલા નવા નરોડા ખાતે પરિવારજનો નવરાત્રિ હોવાથી માતાજીની આરતી વગાડતા હતા. હોમ થિયેટરનો અવાજ ધીમો કરવા બાબતે આ તકરાર થઇ હતી. જેની અદાવત રાખીને પડોશીએ પતિની નજર સામે જ પત્નીના કપડાં ફાડી નાખ્યા હતા. તેમજ આ દંપતિને માર મારીને ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના નવા નરોડામાં રહેતી ૩૭ વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના પડોશમાં રહેતા પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૧ના રોજ નવરાત્રિના તહેવારને કારણે આ મહિલા ઘરમાં હોમ થિયેટરમાં માતાજીની આરતી વગાડતા હતા, આ સમયે પડોશી યુવકે આવીને હોમ થિયેટરનો અવાજ ધીમો રાખવા તથા મકાનનો દરવાજો બંધ રાખવાનું કહીને ઝઘડો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે ૧૦ વાગે આ મહિલા તેમના પતિ અને દિકરી સાથે ખરીદી કરવા માટે બજાર જઈ રહ્યા હતા. ત્યારે પાર્કિંગમાં પડોશી પરિવારના લોકો આવી પહોચ્યા હતા. જેમાં એક અજાણ્યા યુવકના હાથમાં લાકડી હતી, જયારે પડોશી યુવકે આબરુ લેવાના આશયથી આ મહિલાના કપડાં ફાડી નાખ્યા હતા, તેમજ મહિલાને માર માર્યો હતો. ત્યારે આ મહિલાના પતિ છોડાવવા માટે વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ લાકડીથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ ઘાયલ દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને સારવાર દરમિયાન પડોશી વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી