વિસનગરમાં કારીગરની હત્યા:કાંસા ચાર રસ્તા પર આમલેટ નહીં બનાવી આપતાં અસ્ત્રાથી ગળું કાપી નાખ્યું
- વિસનગરના કાંસા ચાર રસ્તા પર મંગળવારે રાતની ઘટના
- વાલમના ભાવિક પટેલ સામે ખૂની હુમલાની ફરિયાદ નોંધાઈ
વિસનગરના કાંસા ચાર રસ્તા પર આમલેટ નહીં બનાવી આપતાં વાલમના શખ્સે કારીગરને અસ્ત્રો ગળાના ભાગે મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. વિસનગર પોલીસે ખૂની હુમલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
*ઉશ્કેરાઇ જઇ ખિસ્સામાંથી અસ્ત્રો કાઢી ગળાના ભાગે ધા માર્યો
ખેરાલુના વાવડીના અને વિસનગર કાંસા એનએ વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં રહેતા ભરથરી નાગજીભાઇ પુંજાભાઇ કાંસા ચોકડી પાસે ઉભી રહેતી કે.બી. આમલેટ સેન્ટર નામની લારીના માલિક આરીફભાઇ અબ્બાસભાઇ શેખના ત્યાં નોકરી કરે છે. મંગળવારે રાત્રે આરીફભાઇ થલોટા રોડ ઉપર બ્રેડ લેવા ગયા હતા. ત્યારે વાલમ ગામનો પટેલ ભાવિક ઉર્ફે ગફુરે આવી આમલેટ બનાવ કહેતાં નાગજીભાઇએ શેઠ બ્રેડ લેવા ગયા છે આવીને બનાવી આપશે બેસો તેમ કહેતાં ભાવિકે ઉશ્કેરાઇ જઇ ખિસ્સામાંથી અસ્ત્રો કાઢી ગળાના ભાગે મારી જતો રહ્યો હતો.
*લોહીલુહાણ હાલતમાં નાગજીભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા
આ દરમિયાન આરીફભાઇ આવી જતાં લોહીલુહાણ હાલતમાં નાગજીભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં રીફર કરાયા છે. પોલીસે નાગજીભાઇના નિવેદન આધારે વાલમના ભાવિક ઉર્ફે ગફુર નામના શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – ગાયત્રીબેન ઝાલા