વાહનવ્યવહારને અસર:ગાંધીનગરના ખોરજ બ્રિજમાં 10 ફૂટનું ગાબડું પડતાં બ્રિજ બંધ કરી દેવાયો, તંત્રએ ગાબડા પર પડદો ઢાંકી દીધો!
- કરોડના બ્રિજમાં ગાબડું પડતા ગુણવતા સામે સવાલો ઉઠ્યા
ગાંધીનગરમાં હજી તો થોડા મહિના અગાઉ જ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા ખોરજ બ્રિજમાં સામાન્ય વરસાદ પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જવાથી હાલ બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી છે. જેમાં કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સ્થાનિક પોલીસને ભર વરસાદમાં ખડેપગે ઉભા રહેવાની ફરજ પડી છે.
*ખોરજથી અદાણી તરફ જતાં બ્રિજમાં ગાબડું પડતાં બંધ કરવો પડ્યો
ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સાથે રોડ રસ્તા ધોવાઈ ગયા છે. ત્યારે ગઈકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલ ખોરજ થી અદાણી શાંતિગ્રામ તરફના છેડે બ્રિજમાં ગાબડું પડી જતાં અત્રે વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
*બ્રિજનું ગાબડું કપડાથી ઢાંકી દેવાયું!
પ્રાપ્ત વિગતો અનુસાર ખોરજ ગામની રાજયોગ સોસાયટી સામે નેશનલ હાઈવે પર મસમોટું ગાબડું પડયું હતું. જેના લીધે નજીકનો રોડ બેસી ગયો હતો. આ અંગે ગ્રામજનોએ સવારે જાણ કરતાં તંત્રએ બેરિકે’ મૂકી બ્રિજનું ગાબડું કપડાથી ઢાંકી દઈ બેરીકેટ મૂકી દીધા હતા. જો કે સાંજ પડતાં ફરીવાર વરસાદ વરસતા સ્થિતિ વધુ વણસી હતી. અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. અને બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. જેનાં કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.
અહેવાલ – તેજાજી ચૌહાણ