પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં સાત દિવસના રિમાન્ડ પર છે. ત્યારે નાણાકીય ઉચાપતને કારણે ગઈ રાત્રે 4 વાગ્યે ACBની ટીમે વિપુલ ચૌધરીના ગાંધીનગરના માણસા રોડ પર આવેલા પંચશીલ બંગલોમાં તપાસ હાથ ધરી હતી. વિપુલ ચૌધરીની કરોડોની ઉચાપતના કેસમાં ACBની તપાસમાં સામે આવ્યું છે કે વિપુલ ચૌધરીએ યુ.એસ, કેનેડા અને અલાસ્કામાં મોટેલ તથા મકાનની ખરીદી કરેલ છે. ત્યારે ગઈ રાત્રે ACBની ટીમે વિપુલ ચૌધરીના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિપુલ ચૌધરીનાં પત્ની સહિત પરિવાર ઘરેથી ગાયબ થઇ ગયા હતા. જ્યારે તપાસમાં ACBની ટીમને તે ઘરમાંથી 31 હજારની રોકડ હાથ લાગી હતી. જોકે કોઈ ડોક્યુમેન્ટ કે ફાઈલ મળી છે કે નહીં એ જાણવા મળ્યું નથી.
દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા મામલે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અને વિપુલ ચૌધરી હાલ સાત દિવસના રિમાન્ડ પર છે. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા મામલે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 31 બેનામી કંપની ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર કરી હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે, દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી, અને આ તપાસ બાદ રૂપિયા 800 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી હતી, જેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી