પાટણના સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં છાત્રોની પરીક્ષા કરતાં પણ સરકારી કાર્યક્રમ વધુ મહત્ત્વનો હોય તેમ લાગી રહ્યું છે. છાત્રોની પરીક્ષા ચાલુ હોવા છતાં કોલેજ કેમ્પસમાં ભાજપ સરકારનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થયો તેના ઘોંઘાટને લઈને છાત્રો યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ના કરી શકયા અને તેમની પરીક્ષામાં વિક્ષેપ પડતા યોગ્ય રીતે પરીક્ષા ના જતા છાત્રોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સોમવારે સરકારી નર્સિંગ કોલેજમાં વિધાર્થીનીઓના ભાવિ જોખમમાં મૂકી કાર્યક્રમ યોજવામાં આવતા ભાજપ વિવાદાસ્પદ બન્યું છે.
શુક્રવારે સિદ્ધપુર કોલેજ ખાતે નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 164 વિદ્યાર્થીઓ પાંચ બ્લોકમાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા.પરીક્ષાનો ટાઈમ સવારે 10:00 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધીનો હતો.વિદ્યાર્થીઓની GNMની પરીક્ષા ચાલુ હતી.જે દરમ્યાન કોલેજના ઓડિટોરિયમ હોલમાં પ્રાંત કચેરી આયોજીત સરકારી વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અવાજના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી. જોકે, વિદ્યાર્થીઓને પરીક્ષામાં એકાગ્રતા ના મળતા પરીક્ષા યોગ્ય ન જતા હતાશ થઈ ગયા હતા. પરીક્ષાઓ કરતાં પણ સરકારી કાર્યક્રમોને વિશેષ માની પરીક્ષા હોવા છતાં પણ કાર્યક્રમની મંજૂરી આપવા બદલ કોલેજના સંચાલકોને કાર્યક્રમનું આયોજન કરનાર વહીવટી તંત્ર સામે છાત્રોએ રોષ ઠાલવ્યો હતો.અને આ કાર્યક્રમના કારણે તેમનુ પરીક્ષામાં ધ્યાન ન અપાયુ તે જણાવ્યું હતુ. ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા કાર્યક્રમને લઈ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોવા છતાં વિશ્વાસથી વિકાસનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે. ભાજપને વિદ્યાર્થીઓની પરીક્ષાની નહીં પરંતુ પોતાના પ્રચારની ચિંતા હોય છે.આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે કેટલાય પેપર ફોડી વિદ્યાર્થીઓ જોડે અન્યાય કર્યો છે. સિદ્ધપુરમાં કોલેજમાં પરીક્ષા ચાલુ હોય તેજ દરમ્યાન સરકારી કાર્યક્રમો કરે શું યોગ્ય છે તેવા પ્રશ્નાર્થ કર્યા હતા. ત્યારે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમીબેને કહ્યું હતું કે પ્રોગ્રામનો પ્રાંત ઓફિસમાંથી કહેવામાં આવ્યું હતું અને એક કલાકનો કાર્યક્રમ છે તેમ જણાવવામાં આવ્યું હતું જેને લઇ આ કાર્યક્રમ યોજાયો હતો. સિદ્ધપુર પ્રાંત અધિકારીએ જણાવ્યુ હતુ કે સ્થળ નક્કી કરતા પહેલા નર્સિંગ કોલેજ જઈ કાર્યક્રમને લઈ રીહસલ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન નીચેના બે માળ પર પરીક્ષા યોજવામાં આવી હતી. ત્રીજો માળ બફરિંગમાં રાખવામાં આવ્યો હતો અને ચોથા માળે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રિહસલ દરમિયાન ચેક કરવામાં આવતા વોઇસ બહાર જતો નહોતો અને પબ્લિકને સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે નીકળતી સમયે સાઇલેન્ટ નીકળવું તેવું પણ જણાવ્યું હતું.
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ