- જ્વેલર્સની પત્નીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
- ગૃહકલેશથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શંકા
અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ રવિવારે સવારે નરોડા ખાતે આવેલા કાંકરિયા તળાવમાં કૂદીને પોતાની પુત્રી સાથે આપઘાત કરી લીધો હતો, જયારે આ મહિલાનો પતિ જ્વેલર્સનો વ્યવસાય કરે છે. હાલતો આપઘાતનું કોઈપણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, જો કે ગૃહકલેશથી કંટાળીને આ મહિલાએ પોતાની પુત્રી સાથે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા જણાઈ રહી છે. જયારે નરોડાના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.બી.સોલંકીના જણાવ્યુ હતું કે, કૃષ્ણનગર વિસ્તારમાં આર.પી. સવાણી સ્કૂલ પાસે આવેલા શાયોના ઓર્ચિડ બંગલોઝમાં રહેતા નામે ભારતીબહેન ગોરધનભાઇ મોદી જે રવિવારે સવારે ૮ વાગે ઘરેથી શાકભાજી લેવા જાવ છુ તેમ કહીને પોતાની છ વર્ષની પુત્રીને સાથે લઇને ઘરેથી નીકળી ગયા હતા. આ દરમિયાન નરોડા પોલીસ સ્ટેશન પાસે આવેલા કાંકરિયા તળાવ પાસે આવીને પોતાની પુત્રી સાથે તળાવમાં કૂદીને આપઘાત કર્યો હતો. ત્યારે આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
આ દરમિયાન નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના પતિ વિરાટનગર પાસે આવેલા જગદીશ પાર્કમાં મોદી ગોલ્ડ પેેલેસના નામે જ્વેલર્સનો વ્યવસાય કરે છે, તેમના જણાવ્યા મુજબ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને પતિ- પત્ની વચ્ચે કોઇપણ જાતની તકરાર થઇ ન હતી. જો કે અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું હાલ તો તપાસમાં બહાર આવ્યું છે. જયારે નરોડા પોલીસ ઇન્સ્પેકટર કે.વાય.વ્યાસના જણાવ્યા પ્રમાણે આ મહિલાએ ગૃહ કલેશથી આ પગલું ભર્યું હોવાની શંકા જણાઈ રહી છે. જો કે મહિલાના પિયર પક્ષવાળા આવ્યા બાદ આ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી