અજબ પ્રેમકી ગજબ કહાની:‘સલમાન’ની ‘કિન્નર’ પ્રેમિકાને મળવા ‘શાહરુખ’ પહોંચ્યો, ગુસ્સામાં આવી સલમાને છરી મારી, પોલીસ સ્ટેશનમાં તમાશો
યુવક અને યુવતીની પ્રેમ કહાની અને લિવ-ઇન-રિલેશનશિપના અનેક કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદમાં યુવક અને કિન્નર વચ્ચેની પ્રેમ કહાનીએ ભારે ચર્ચા જગાવી છે. બે કિન્નરના બે યુવક સાથે પ્રેમસંબંધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક કિન્નરનો બોયફ્રેન્ડ બહાર હોવાથી તેની જગ્યાએ અન્ય યુવક જતાં તેણે તેની પ્રેમિકા ‘કિન્નર’ને કેમ મળવા ગયો કહીને મારામારી કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો દાણીલીમડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ અંગે પોલીસને મારામારીની જાણ થતાં તેમને પકડવા ગઈ હતી. બંને યુવકને છોડાવવા કિન્નરો પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા અને કપડાં ફાડીને તાયફો કર્યો હતો. આ અંગે હાલ દાણીલીમડા પોલીસે મારા મારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
*કિન્નર અને બે યુવકનું પ્રેમપ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે કિન્નર અને બે યુવકનું પ્રેમપ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 21 અને 24 વર્ષના બે યુવક એવા સલમાન અને શાહરુખ આ વિસ્તારના 35 વર્ષના બે કિન્નર હિના અને માયાના પ્રેમમાં પડ્યા. બંને એકબીજા સાથે પ્રેમમાં એટલા તો ગળાડૂબ હતા કે લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ આ સંબંધો વિચિત્ર લાગતા હતા. આ પ્રેમમાં ઈર્ષા પણ એટલી જ હતી.
*શાહરુખ માયાને બદલે સલમાનની પ્રેમિકાને મળવા ગયો
સલમાન નામનો યુવક હિના નામના કિન્નરના પ્રેમમાં હતો, જ્યારે શાહરુખ માયા નામના કિન્નરના પ્રેમમાં હતો. સલમાન થોડા દિવસ માટે ક્યાંક બહાર ગયો હતો ત્યારે શાહરુખ હિનાને મળવા પહોંચી ગયો હતો. આ વાતની જાણ સલમાનને થતાં તેણે શાહરુખને મળવા માટે બોલાવ્યો હતો અને પોતાની પ્રેમિકા હિનાને કેમ મળવા જાય છે એમ કહી તેને પોતાની પાસે લાવેલી છરી મારી દીધી હતી. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શાહરુખને હાથના ભાગે તેમજ અન્ય જગ્યાએ છરી વાગવાનાં નિશાન હતાં.
*પોલીસ સ્ટેશનમાં આવી કિન્નરોએ પોતાનાં કપડાં ફાડ્યાં
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી. તડવીએ જણાવ્યું હતું કે બંને યુવકો કિન્નરો સાથે લિવ-ઈનમાં રહેતા હતા. એક યુવકની ગેરહાજરીમાં બીજો યુવક તેના મિત્ર કિન્નરને ત્યાં ગયો હતો, ત્યારે તેની દાઝ રાખીને તેને બોલાવી છરી મારી હતી. અમે મારામારીના બનાવમાં આરોપીઓને પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જ્યાં બંને નશાની હાલતમાં હતા. પોતાના પ્રેમીઓને લોકઅપમાંથી છોડાવવા માટે કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં આવી હોબાળો મચાવ્યો હતો અને પોતાનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. આ બધો હંગામો એટલો હતો કે અમારે આખા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા થઈને લોકોને બહાર કાઢવા પડ્યા હતા. હાલ અમે મારામારીના ગુના અંગે તપાસ શરૂ કરી છે.
*(પાત્રોનાં નામ બદલેલાં છે)
અહેવાલ – સુરેશકુમાર પાંડે