વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝરસુગુડામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ ગર્જનબહલ કોલસાની ખાણ અને ઝરસુગુડા-બારાપલી-સરદેગા રેલવે લાઈન પણ જનતાને સમર્પિત કરી. આ પહેલા તેમણે ભુવનેશ્વરમાં તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુનરોદ્ધાર કાર્યની શરૂઆતને લીલી ઝંડી બતાવી. તે પછી તેમણે જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે 2019ની ચૂંટણી જીતીને એકવાર ફરી વડાપ્રધાનપદની જવાબદારી સંભાળવાના સંકેત આપ્યા. કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત આ પ્લાન્ટ પ્રાકૃતિક ગેસ પણ પેદા કરશે જે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આજે છત્તીસગઢની પણ મુલાકાત લેશે અને ત્યાં પણ ઘણી યોજનાઓની શરૂઆત કરશે.
‘કેન્દ્ર સરકારે લીધો ત્રણ તલાક ગેરકાયદે કરવાનો મહત્વનો નિર્ણય’
– મોદીએ કહ્યું, “જ્યારે બીજેપી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી, તે પછીથી ફર્ટીલાઈઝર પ્લાન્ટના કામે સ્પીડ પકડી. હું તમને ખાતરી આપું છું કે તાલચેર ફર્ટીલાઈઝર પ્લાન્ટનું બાંધકામ 36 મહિનામાં પૂરું થઈ જશે અને હું ફરી એકવાર અહીંયા તેના ઉદ્ઘાટન માટે આવીશ.”
– “મેં સીએમ નવીનબાબુને વિનંતી કરી હતી કે ઓડિશા સ્વચ્છતામાં પાછળ ન રહી જાય તે જોજો. પરંતુ, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે હું ફરી એકવાર નવીનબાબુને વિનંતી કરું છું કે લોકોના આરોગ્ય માટે થઈને ઓડિશાની સ્વચ્છતાને પ્રાથમિકતા આપે.”
– “ત્રણ દિવસ પહેલા કેન્દ્ર સરકારે એક નિર્ણય કર્યો છે, જે દાયકાઓ પહેલાં જ થઈ જવો જરૂરી હતો. આ નિર્ણય ત્રણ તલાકને લઈને છે. મતો ગુમાવી દેવા પડશે તેના ડરને કારણે કોઇ તેના વિશે વાત પણ કરવા તૈયાર ન હતું. પરંતુ હવે તે ગેરકાયદે જાહેર થઈ ગયા છે.”
બપોરે છત્તીસગઢ જશે વડાપ્રધાન
વડાપ્રધાન ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન કોલસાની ખાણ અને ઝરસુગુડા-બારાપલી-સરદેગા રેલ રૂટને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ મોદી શનિવારે બપોરે 3.20 વાગે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લા પહોંચશે. ત્યાં તેઓ પારંપરિક હથકરધા તેમજ કૃષિ પર એક પ્રદર્શનની મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને પેંડ્રા-અનુપપુપરની ત્રીજી લાઈનનો શિલાન્યાસ કરશે.
ઓડિશા: મોદીએ કર્યું એરપોર્ટનું ઉદ્ઘાટન, રેલવે લાઈન પણ જનતાને સમર્પિત કરી.
Views 57