આધાર બધી વસ્તુઓ સાથે લિંક થઈ જશે તો પ્રાઈવસી જેવું નહીં રહે: સ્નોડેન

Views 69

નાગરિકોની જાસૂસી કરનારી અમેરિકન સરકારની પોલ ખોલનારા વિશ્વ વિખ્યાત વ્હીસલબ્લોઅર એડવર્ડ સ્નોડેને ચેતવણી આપતા કહ્યું છે કે, ભારતમાં આધાર કાર્ડ સાથે દરેક વસ્તુઓ લિંક કરાવી નાગરિકોની દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકાય તેમ છે. સ્નોડેનનું તો ત્યાં સુધી કહેવું છે કે, આધાર કાર્ડ સાથે જો બધી વસ્તુઓ લિંક થઈ ગઈ તો ભારતીયોની કોઈ વિગતો ખાનગી નહીં રહે.

થોડા દિવસ પહેલા અનેક લોકોના એન્ડ્રોઈડ ફોનમાં UIDAIનો ફોન નંબર પોતાની જાતે જ સેવ થઈ જવા અંગે વાત કરતા સ્નોડેને કહ્યું હતું કે, આ અંગે UIDAI દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે જ બતાવે છે કે આધાર કાર્ડનો ખરો ઉપયોગ શું થવાનો છે. સ્નોડેને જણાવ્યું હતું કે, લોકોના મોબાઈલમાં એડ થયેલો નંબર ખોટો છે. પરંતુ, આ જ નંબર લોકોના આધાર કાર્ડ પાછળ છપાયેલો છે.

UIDAI દ્વારા આ અંગે ગૂગલ પર દોષનો ટોપલો ઢોળી દેતા એવું કહી હાથ અદ્ધર કરી દેવાયા હતા કે અમને તેની કોઈ જાણ નથી. તેના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, આધાર કાર્ડની સિસ્ટમ પર આવા આરોપ ન મૂકાવા જોઈએ. તે લોકોને મળતી સરકારી સહાયમાં પારદર્શિતા આવે તેના માટે છે, અને તેનાથી સરકારના કરોડો રુપિયા બચે છે. આધાર પર સવાલ ઉઠાવનારાને અવગણો, અને તેમની વાત સાંભળવાની કોઈ જરુર નથી.

જયપુરમાં એક ઈવેન્ટમાં વીડિયો-કોન્ફરન્સથી વાત કરતા સ્નોડેને કહ્યું હતું કે, આધાર કાર્ડને ફરજિયાત બનાવી લોકોને તેનામાં નોંધણી કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. એવી સ્થિતિ થઈ રહી છે કે, તમે તમારા આધાર કાર્ડની વિગતો ન આપો તો તમે બાળકને જન્મ પણ ન આપી શકો, અને તેનું બર્થ સર્ટિફિકેટ પણ ન મેળવી શકો.
આધાર કાર્ડનો દુરુપયોગ કરનારી એજન્સીઓ અને પ્રાઈવેટ કંપનીઓ સામે કાયદાકીય પગલાં લેવાની પણ સ્નોડેને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, સરકાર જેના પૈસા ન આપતી હોય તેવી સર્વિસ પૂરી પાડતી કંપની જો તમારી પાસે આધાર નંબર માગે તો તેની સામે કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. કારણકે, તેમાં તો સબસિડી મેળવવાની કોઈ વાત આવતી જ નથી, તો આધાર તેની સાથે જોડવાનો મતલબ શું છે?
સ્નોડેને કહ્યું હતું કે સૌથી જોખમી વાત એ છે કે, જ્યારે સરકાર જ લોકોને કહે કે તમારી પ્રાઈવસીની ચિંતા ન કરો કે પછી ડેટા સિક્યોરિટી અને તમારા હક્કો વિશે સરકાર તમને કહે. સ્નોડેને સરકારની આવી દલીલોનું કનેક્શન સીધું હિટલરના સમયના જર્મની સાથે જોડી દીધું હતું
આધાર કાર્ડનો ઉપયોગ માત્ર સબસિડીની વહેંચણીમાં થતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને ખતમ કરવાનો જ હોવાની દલીલનો છેદ ઉડાવી દેતા સ્નોડેને કહ્યું હતું કે, જો આધારનું એકમાત્ર આ જ કામ હોત તો સરકાર સામે કોઈ આટલી દલીલ ન કરતું હોત. તેણે કહ્યું હતું કે, સમસ્યા એ છે કે, આધાર એવા કામોમાં વપરાઈ રહ્યું છે કે જેને સરકારના માત્ર સબસિડી કે સરકારી રાહતના પારદર્શી ડિસ્ટ્રિબ્યૂશન સાથે કશીય લેવાદેવા નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *