વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બોલતી વેળાએ દેશમાં વધી રહેલી રેપની ઘટનાઓ, કેરળનું પુર, સંયુક્ત ચૂંટણી પર વાત કરી હતી. જે દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે આ દેશ ક્યારેય રેપની ઘટનાઓને સાંખી નહીં લે અને જે પણ અપરાધીઓ છે તેને આકરી સજા ફટકારવામાં આવશે.
મોદીએ સાથે ટ્રિપલ તલાક અંગે પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ટ્રિપલ તલાકને રદ કરતુ બિલ રાજ્યસભામાં પસાર નથી કરી શક્યા પણ હું મુસ્લિમ મહિલાઓને ખાતરી આપુ છું કે તમારી સાથે આખો દેશ ઉભો છે અને તમને ન્યાય મળીને જ રહેશે.
દરમિયાન નરેન્દ્ર મોદીએ રક્ષા બંધન અને જન્માષ્ટમીની પણ શુભકામના પાઠવી હતી. મોદીએ ભાષાના મહત્વ વિશે પણ વાત કરતા જણાવ્યું હતું કે દરેક ભાષાનું પોતાનું એક આગવુ મહત્વ હોય છે. તમિલ ભાષા દેશની સૌથી જુની ભાષા છે અને આપણે ભારતીયો તે વાતનંુ ગૌરવ અનુભવીએ છીએ. સાથે મોદીએ સંસ્કૃત ભાષાના પણ વખાણ કર્યા હતા.
મોદીએ કેરળમાં પુરની ઘટનાને પણ યાદ કરી હતી અને જણાવ્યું હતું કે આ આપત્તીના સમયમાં દેશ કેરળની સાથે છે. અને મને પુરો વિશ્વાસ છે કે આ હિમ્મત અને પ્રયાસોને કારણે કેરળ ફરી ઉભુ થઇ જશે.
મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે અટલજીએ વર્ષ ૨૦૦૧ના રોજ બજેટનો સમય બદલીને તેને સાંજે પાંચ વાગ્યાને બદલે સવારે ૧૧ વાગ્યાનો કરી દીધો હતો.
મોદીએ સંયુક્ત ચૂંટણી પર ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે તેનાથી ખર્ચ અને સમય બચશે. સંયુક્ત ચૂંટણી પર હાલ જે ચર્ચા થઇ રહી છે કે લોકશાહીની સારી નિશાની છે.
મોદીએ દેશમાં બળાત્કારની ઘટના બાદ દોષીતોને ઝડપથી સજા સંભળાવવાની કોર્ટની કામગીરીને પણ બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મંદસોરની કોર્ટે બહુ જ સરાહનીય કામ કર્યું છે અને દોષીતોને તાત્કાલીક ફાંસીની સજા ફટકારી છે.
દેશમાં મહિલાઓ પર થઇ રહેલ અત્યાચારને કોઇ પણ સંજોગોમાં સહન નહીં કરી લેવાય તેમ મોદીએ જણાવ્યું હતું. સાથે એશિયન ગેમ્સ અંગે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે હું દેશ માટે મેડલ જીતનારા દરેક ખેલાડીઓને શુભકામના પાઠવું છું. તે ખેલાડીઓને પણ મારી શુભકામના કે જેઓની રમત હજુ બાકી છે. દેશમાં મેડલ જીતનારાઓમાં આપણી બેટીઓ પણ સામેલ છે. અને તે બહુ જ સકારાત્મક સંકેત છે.
મોદીએ સાથે દેશવાસીઓને અપીલ કરી હતી કે દરેકે રમતગમતમાં ભાગ લેવો જોઇએ અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઇએ. આ ઉપરાંત એન્જિનિયર્સ ડે, જન્માષ્ટમી, કક્ષાબંધન, ખેલ દિન વગેરેની શૂભકામના પાઠવી હતી.
દેશમાં બળાત્કારને સાંખી નહીં લેવાય :-મોદી
Views 62