રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે દીપ પ્રાગટ્ય કરી કોરોના સંક્રમણના અંધકારથી જનતા જનાર્દનની સંકલ્પશક્તિથી ઉજાસ તરફના પ્રયાણ માટે સંકલ્પ કર્યો
રાજ્યપાલશ્રીએ પોતાની વિવેકાધિન ગ્રાંટમાંથી વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના રાહત કોષમાં રૂ. 25-25 લાખના યોગદાન બાદ વધુ એક સંકલ્પ કર્યો
વડાપ્રધાનશ્રીના આહ્વાન સંદર્ભે રાજભવન ખાતે દીપપ્રાગટ્ય કરતા રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજભવન ખાતે દીપ પ્રાગટ્ય કરી કોરોના સંક્રમણના અંધકાર સામે જનતા જનાર્દનની સંકલ્પશક્તિથી ઉજાસ તરફના પ્રયાણ માટે સંકલ્પ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ કોરોના સંક્રમણ સામેની દેશની લડાઇમાં સહયોગી થવાના નિર્ધાર સાથે પોતાના વેતનના 30 ટકા હિસ્સો એક વર્ષ સુધી સરકારને અર્પણ કરવાનો આ તકે સંકલ્પ કર્યો હતો.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કોરોના સંક્રમણના અંધકારથી જનતા જનાર્દનની સંકલ્પશક્તિ સાથે ઉજાસ તરફના પ્રયાણ માટે દેશવાસીઓને તા. 5મી એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે નવ મીનિટ માટે દીપ પ્રગટાવી, મીણબત્તી પ્રજ્વલિત કરીને અથવા મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. આ આહ્વાનમાં જોડાઇને રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે આજે નવ વાગ્યે દીપ પ્રાગટ્યુ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રીએ અગાઉ તેમની વિવેકાધીન ગ્રાંટમાંથી વડાપ્રધાનશ્રીના રાહત કોષ PM CARES માં રૂ. 25 લાખ અને મુખ્યમંત્રીશ્રીના રાહત કોષમાં રૂ. 25 લાખ મળીને કુલ રૂ. 50 લાખના યોગદાનનો પણ સંકલ્પ કર્યો હતો. આજે ફરીથી પોતાના માસિક વેતનનો 30 ટકા હિસ્સો એક વર્ષ સુધી સરકારને અર્પણ કરવાનો સંકલ્પ પણ રાજ્યપાલશ્રીએ કર્યો હતો અને આ અંગે રાષ્ટ્રપતિશ્રીએ પત્ર લખીને તેઓ પોતાના વેતનમાંથી 30 ટકા રકમની એક વર્ષ માટે દર મહિને કપાત કરવા વિનંતી કરશે.
રાજ્યપાલશ્રીનો સંકલ્પઃ એક વર્ષ સુધી પોતાના વેતનના 30 ટકા રકમ દર મહિને કોરોના સંક્રમણના સામના માટે સરકારને અર્પણ કરશે
Views 85