પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકાના પાડલા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે. પાડલા ગામનાં લોકો મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, આ ગામમાં જે ગ્રાન્ટ કે યોજનાઓ પાસ થયેલી છે, તે યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચતી જ નથી. ત્યારે ગ્રામજનોનુ કહેવુ છે કે આ સમસ્યાઓ વિશે ઘણીવાર ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાઓનો હલ આવ્યો નથી. અને આ ગામના રસ્તાઓની સમસ્યાનાં કારણે બાળકોને આંગણવાડી તેમજ શાળાએ જતા કીચડમાંથી અને ગંદકીમાંથી પસાર થઈને જવું પડે છે.
જયારે અમારા ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન પાસ થઈ ગયેલા છે, પણ હજુ સુધી હપ્તા કે મકાન બનાવવાની મંજૂરી મળેલ નથી અને જેને આ યોજનામાં મકાન આપવા લાયક છે, તે લોકોને મકાન આપવામાં આવ્યા નથી. અને આ ગામની આંગણવાડીની અંદર પણ બાળકો જે રૂમમાં બેસે છે, તે જ રૂમની છત પર મોટા-મોટા પોપડા પણ પડી ગયા છે, તેમ છતાં તેને સુધારવામાં આવ્યું નથી. જેના કારણે ગામના લોકો બાળકોને જીવના જોખમે આંગણવાડીમાં મોકલવા પડે છે.
તેમજ પાડલા ગામની આંગણવાડીમાં બાળકોને પાણી પીવા માટે ચાર R.O. પ્લાન્ટ પાસ થઈ ગયેલા છે. તેમ છતાં હજુ સુધી પાસ થયેલા R.O. પ્લાન્ટ તાલુકા દ્વારા આ ગામની આંગણવાડીમાં લગાવવામાં આવ્યા નથી. તેમજ કાયદેસરની ગ્રાન્ટ પાસ થઈ ગયેલ છે, જે 1.5 લાખ રૂપિયાની છે. તેની રજૂઆત ગ્રામજનોએ અમારા પત્રકારોને કરી હતી. અને વધુમાં તેમણે કહ્યું હતું કે, અમારા ગામના લોકો દ્વારા આ સમસ્યાઓને વારંવાર પંચાયતમાં રજૂ કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેમજ અગાઉ પણ આવી ઘણી બધી ગ્રાન્ટો પાસ થઈ ગયેલી છે, પણ તે પ્રમાણે કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યુ નથી.
આ ગામની અંદર ગટરની પણ કોઈપણ જાતની કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ ગટરનું ગંદુ પાણી સીધુ શુદ્ધ નદીના પાણીમાં નિકાલ કરવામાં આવે છે. ગંદા ગટરના પાણીનો નિકાલ નદીની અંદર કરવામાં આવે છે, તે વિશે આ ગામના સરપંચ પણ જાણે છે તેમ છતાં આવી ગંભીર સમસ્યાઓ હલ કરવામાં આવતી નથી. તેમજ ગટરલાઈનની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. તેમજ આ નદીના પાણીનો ઉપયોગ આજુ-બાજુનાં ગામડાના લોકો પણ કરે છે. આ નદીના પાણીનો ઉપયોગ તે પોતાના પાતું જાનવરોને પીવા માટે, ઘરકામમાં વાપરવા માટે તથા લોકો નાહવા માટે પણ આ પાણીનો જ ઉપયોગ કરે છે. તો આ ગટરના ગંદા પાણી નદીના શુદ્ધ પાણી સાથે મળવાથી અને આ ગંદકીના કારણે આવા પાણીથી ઢોર તેમજ માણસોમાં પણ રોગચાળો ફેલાઈ શકે છે.
તો અમારી વિનંતી છે કે, તાલુકા અધિકારી જાતે જ પાડલા ગામમાં આવીને જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાસ થયેલા મકાનો જેણે નથી મળ્યા તેવા લોકોનું સર્વે કરીને તે ગરીબ લોકોને મકાન મળે અને ગટર લાઈનની પણ વ્યવસ્થા કરાવે, તેમજ સર્વે કરીને આ ગરીબ લોકોના કામ પૂર્ણ કરે તેવી પાડલા ગામના જાહેર જનતાની વિનંતી છે. તેમ છતાં જો ટી.ડી.ઓ. સાહેબ જાતે સર્વે નહીં કરે તો આગળની રજૂઆત અમે ગાંધીનગર સુધી પહોચાડવામાં આવશે. અને ખાસ કરીને વણકરવાસ અને વાલ્મિકી વાસમાં રોડ અને ગટરની મોટી સમસ્યા ઘણા કેટલાક વર્ષોથી છે. તેવી રજૂઆત પાડલા ગામના લોકોએ કરી હતી, તેમજ પાડલા ગામના લોકોની માંગ છે કે જલ્દીથી જલ્દી આ કાર્ય સંપૂર્ણ કરાવવામાં આવે તેવું ગામના લોકોએ જણાવ્યું હતુ.
રિપોર્ટર – દિલીપસિંહ જાડેજા