સુરત શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ બંધ કરી દેવાતાં 108 એમ્બ્યુલન્સે પણ ગેટ બહાર લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. આજે સવારથી સિવિલમાં અવરજવરના બન્ને ગેટ બંધ કરાતાં અફરાતફરીનો માહોલ ઊભો થઇ રહ્યો હોય એમ કહી શકાય છે. 108માં કોરોના પોઝિટિવ દર્દીને પણ પ્રવેશ નહીં અપાતાં તંત્રની માનવતા મરી પરવારી હોય એ વાતને નકારી શકાય નહીં. જ્યારે સુરત સિવિલમાં જરૂરિયાત કરતાં ઓછો ઓક્સિજન આપી સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે.
108માં આવતા દર્દીઓને બીજે લઈ જવા માટે ગેટ બંધ કરાયા
ડો.ધાવિત્રી પરમાર (સુરત સિવિલ, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ)એ જણાવ્યું હતું કે હાલ સિવિલનાં ત્રણેય બિલ્ડિંગમાં 1000 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમને જ કટોકટ ઓક્સિજન આપી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સિવિલના દર્દીઓ માટે રોજનો 56 મેટ્રિક ટન ઓક્સિજન સામે માત્ર 46 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઇ થઈ રહ્યો છે. સરકારના પ્રતિનિધિઓ અને કલેક્ટર પણ આ બાબતે પ્રયાસ કરી રહ્યા છે. જોકે બે દિવસથી ઊભી થયેલી ઓક્સિજન અછત બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે સરકાર દ્વારા લેખિતમાં આટલો જ ઓક્સિજન મળશે એમ કહી દેવાયું છે. એટલે હવે 108માં આવતા દર્દીઓને બીજે લઈ જવા માટે ગેટ બંધ કરાયા છે.
દર્દીને ક્યાં લઈ જવા એ વિચારવાનુંઃ 108 કર્મી
સુરત નવી સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ કહ્યું હતું કે જગ્યા ખાલી નથી બીજે લઈ જાઓ, એમ કહી દેવાયું છે. સાહેબ, અમે ક્યાં લઈ જઈએ એ વિચારવાનું. 51 વર્ષના કોરોના પોઝિટિવ કાકા છે. તેમના સગાં કહેશે એ કરીશું.
ઓક્સિજન વ્યવસ્થા ન કરી શકાય
સિવિલ હોસ્પિટલના એક કર્મચારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે સિવિલની કોવિડ-19, જૂના બિલ્ડિંગ અને કિડની હોસ્પિટલમાં લગભગ 50 ટકા બેડ ખાલી છે. જોકે ઓક્સિજન વ્યવસ્થા ન કરી શકવાને કારણે કે પછી ડોક્ટરો થાકી ગયા હોવાને કારણે દર્દીને દાખલ ન કરવાનો નિર્ણય લેવાયો હોય એ વાત નકારી ન શકાય. જોકે હવે અફરાતફરીનો માહોલ ઊભો થઇ રહ્યો છે. સરકાર આ બાબતે કઈ વિચારે, નહિતર લોકો કાયદો હાથમાં લેતા થઈ જશે.
કોંગ્રેસની ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના અભાવે કોરોનાના ગંભીર દર્દીઓને દાખલ કરવાના બંધ કરી દેવામાં આવતાં શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજયના મુખ્યમંત્રી રૂપાણીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.