સિદ્ધપુરમાં રખડતી ગાયોનો આતંક:નવાવાસમાં તોફાને ચડેલી ગાયે આધેડને શિંગડે ચડાવ્યા, બચાવવા જતા બીજા બે લોકો પર હુમલો
- ઈજાગ્રસ્ત આધેડને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
સિદ્ધપુરમાં રખડતી ગાયનો આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે. રવિવારની રાત્રે તોફાને ચડેલી એક ગાયે નવાવાસમાં 3 વ્યક્તિઓ ઉપર હુમલો કરતાં ત્રણેય લોકોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર થતા સારવાર માટે ધારપુર ખસેડાયા હતા.
*બચાવવા જતા બીજા પર હુમલો
નવાવાસ વિસ્તારમાં આવેલા નાગરાજનગરમાં રહેતા ચમનભાઈ મકવાણા ઉપર ગાયે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. જેઓને બચાવવા માટે કલ્પેશભાઈ મકવાણા આવતાં તેમના ઉપર પણ હુમલો કર્યો હતો.
*એકની હાલત ગંભીર
આ ઉપરાંત વધુ એક વ્યક્તિને ગાયે ઈજાઓ પહોંચાડી હતી. તોફાને ચઢેલી ગાયે હુમલો કરતાં ભારે દોડધામ મચી હતી અને રહીશો ગાયથી બચવા માટે રીતસરના દોડાદોડ કરતા રહ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલાં સિદ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચમનભાઈ મકવાણાને વધુ ઈજાઓ થવાને કારણે તેઓની હાલત વધુ ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલ – સબીરશાહ ફકીર