સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં ‘તું આખો દિવસ ખાટલામાં પડી રહી, હવે હાથી જેવી જાડી થઇ ગઈ’ કહી પરિણીતાને ત્રાસ, ફરિયાદ દાખલ
* દેરાણીને દીકરો જન્મતા પતિ સહિતના સાસરિયાઓ પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા
રાજકોટ શહેરના નવાગામ આણંદપરમાં માવતરે રહેતી અને મૂળ કોટડાસાંગાણીના શિશક બંધીયા ગામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પતિ ચિરાગ, સસરા ગોરધનભાઈ ડાયાભાઇ મારૂ, સાસુ રસીલાબેન, દેર નરેશ, દેરાણી ગીતા અને મામાજીના પુત્ર મહેશ નાગજીભાઈ કાચાના નામ આપ્યા હતા. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ તેમજ સાસરિયાઓ મને ‘તું આખો દિવસ ખાટલામાં પડી રહી, હવે હાથી જેવી જાડી થઇ ગઈ છો’ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
*દેરાણી સાથે કામ બાબતે ઝઘડા થતા
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન 14 વર્ષ પહેલા ચિરાગ સાથે થયા હતા દરમ્યાન સંતાનમાં બે પુત્રી હોવાનું જણાવ્યું હતું. તેના દેરના લગ્ન બાદ દેરાણી સાથે રહેતા હતા અને અવારનવાર તેની સાથે કામ બાબતે ઝઘડા થતા હોય પતિ સહિતના સાસરિયાઓ મારકૂટ કરતા હોવાનો અને દેરાણીને ત્યાં પુત્રનો જન્મ થતા તેને સાસરિયાઓ સારી રીતે રાખતા હતા.
*તમારી પત્નીને કાઢી મુકો
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મામાજીનો પુત્ર મહેશ કાચાએ મારા પતિને ચડામણી કરી હતી કે, તમારી પત્નીને કાઢી મુકો અમે દીકરીઓને સાચવી લેશું. આ વાત સાંભળીને પતિ સહિતનાઓએ મારકૂટ કરી હતી. આ ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનના ASI જે.જે.માઢકે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ – ઈલા મારૂ