વિદ્યાર્થીઓની હાલત કફોડી:સાંતલપુર સરકારી કોલેજના 510 છાત્રો બિલ્ડીંગના અભાવે હાઈસ્કૂલના 2 રૂમમાં બેસી ભણી રહ્યા છે

Views 188

વિદ્યાર્થીઓની હાલત કફોડી:સાંતલપુર સરકારી કોલેજના 510 છાત્રો બિલ્ડીંગના અભાવે હાઈસ્કૂલના 2 રૂમમાં બેસી ભણી રહ્યા છે

એક વિષયનો ક્લાસ ચાલતો હોય તો બીજા વિષયના વિદ્યાર્થીઓને પણ બહાર બેસવાની નોબત આવે છે - Divya Bhaskar
                  એક વિષયનો ક્લાસ ચાલતો હોય તો બીજા વિષયના વિદ્યાર્થીઓને પણ બહાર બેસવાની નોબત આવે છે
  • કોલેજ મંજૂર થયાને 6 વર્ષ બાદ પણ બિલ્ડીંગ ન બનાવતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી
  • એમાં એક વિષયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે બીજા વિષયના છાત્રોને બેસવું પડે છે

     સાંતલપુર પંથકના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સરકારી આર્ટસ કોલેજ મંજૂર થયાને છ વર્ષ થવા છતાં બિલ્ડીંગ બનાવ્યું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિક શાળાના બે ઓરડાઓમાં એફવાય,એસવાય અને ટીવાયના 510 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એક વિષયનો ક્લાસ ચાલતો હોય તો બીજા વિષયના વિદ્યાર્થીઓને પણ બહાર બેસવાની નોબત આવે છે ત્યારે કોલેજનું બિલ્ડીંગ બનાવવા માટે શનિવારે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જિલ્લા સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો

     સરકાર દ્વારા વર્ષ 2015માં જે તાલુકાઓમાં કોલેજ ન હોય તેવા તાલુકાઓમાં 10 આર્ટ્સ કોલેજ મંજુર કરી હતી. જેમાં સાંતલપુર તાલુકાની કોલેજ સાંતલપુરમાં મંજુર કરી કોલેજ બિલ્ડીંગ બનાવવા માટે રૂ.10 કરોડ ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી.જો કે,જ્યારે કોલેજ બિલ્ડીંગ બનાવવા માટેની પ્રોસિજર હાથ ધરાઈ ત્યારે જમીનનો પ્રશ્ન ઉપસ્થિત થતા કામચલાઉ ધોરણે કોલેજ અન્ય સંસ્થાઓમાં ચલાવાતી હતી પરંતુ ત્યારબાદ સાંતલપુર આઈટીઆઈ નજીક કોલેજ બિલ્ડીંગ બનાવવા માટે જગ્યા પણ મંજુર કરી હતી. છતાં 6 વર્ષ બાદ પણ કોલેજ બિલ્ડીંગ બની શકી નથી.

     હાલમાં પણ છેલ્લા 3 વર્ષથી સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલનાં ઉપરના માળે કોલેજ કામ ચલાઉ ધોરણે ચાલી રહી છે. જેમાં સાંતલપુર સહિત આસપાસ વિસ્તારના એફવાય, એસવાય અને ટીવાયના કુલ 510 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે.

     તેમા 3 ક્લાસ વચ્ચે માત્ર બે જ રૂમો છે ત્યારે એક ક્લાસના વિધાર્થીઓને અન્ય કલાસના વિધાર્થીઓ ના પિરિયડ ચાલતા હોય ત્યારે બહાર બેસવું પડે છે તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ અલગ અલગ વિષય પસંદ કરેલા હોવાથી તે વિષયના કલાસ ચાલતા હોય ત્યારે પણ બહાર બેસવાની નોબત આવતા વિધાર્થીઓના અભ્યાસ સામેં પણ સવાલો ઉઠવા પામ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા છ વર્ષ બાદ પણ કોલેજ બિલ્ડિંગ ન બનાવાતા વિધાર્થીઓની હાલત કફોડી બની છે.

     હાલમાં સાંતલપુર કોલેજ ચલાવવા માટે 12 રૂમની જરૂરિયાત છે તેની સામે માત્ર બેજ રૂમોમાં કોલેજ ચાલી રહી છે. એટલું જ નહીં પરીક્ષા સમયે કોલેજના વિદ્યાર્થીઓને બીજી શાળાઓમાં બેસાડી પરીક્ષા લેવી પડે છે આ ઉપરાંત પ્રિન્સિપાલ, ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર અને સ્ટાફ આ તમામને એક જ રૂમમાં બેસવું પડે છે.

*શિક્ષણમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરીશ: ધારાસભ્ય
ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ જણાવ્યું કે જ્યારે કોલેજ મંજુર થઈ ત્યારે બિલ્ડીંગ માટે 10 કરોડ આસપાસ બજેટ મંજુર થયું હતું પણ બિલ્ડીંગ નહિ બનતા હવે વિવિધ ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે તે કોલેજનું બજેટ 15 કરોડ આસપાસ થઈ ગયું છે તેના માટે હવે ફરીથી સરકારમાં વહીવટી મંજુરી મળે ત્યારે જ કામ આગળ વધે તેમ છે ત્યારે હું રૂબરૂ શિક્ષણમંત્રીને મળીને કોલેજ બિલ્ડીંગ બનાવવા માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી બે દિવસમાં જ રજુઆત કરીશ.

*બીજા વિષયના કલાસ ચાલે ત્યારે બહાર બેસી રહેવું પડે છે
કોલેજમાં અભ્યાસ કરતા એસવાય બીએના વિધ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 3 ક્લાસ વચ્ચે માત્ર 2 જ રૂમ છે જેથી ધોરણ વાઇઝ પણ એક ક્લાસ ઘટે છે. વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયો રાખેલા હોઈ વિષય પ્રમાણે ક્લાસ ચાલતા હોય ત્યારે બીજા વિષયના વિધ્યાર્થીઓને બહાર બેસવું પડે છે કોલેજ બિલ્ડિંગ નહિ હોવાથી અભ્યાસ કેવી રીતે કરવો એ જ સૌથી મોટી સમસ્યા છે

                                                                                                                                                                                 અહેવાલ – મુરતૃજાઆલી સૈયદ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *