લૂંટેરી દુલ્હન:નળાસરના યુવક સાથે 1.70 લાખમાં ફુલહાર કરી માત્ર 10 દિવસમાં સુરતની યુવતી રફુચક્કર
- પગે ફ્રેકચર થતાં બરોબર ચાલી શકતો ન હોઇ સમાજમાંથી યુવતી પસંદ કરતી ન હતી
પાલનપુર તાલુકાના નળાસર ગામના યુવકે પાલનપુરના વચેટીયાની મદદથી પાવાગઢના એજન્ટ થકી સુરતની યુવતી સાથે રૂપિયા 1.70 લાખ આપી ફૂલહાર કર્યા હતા. જોકે, તેણી માત્ર 10 દિવસ યુવક સાથે રહી સુરત રફુચક્કર થઇ ગઇ હતી. આ અંગે યુવકે ત્રણેય સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર તાલુકાના નરાસળ ગામના ભાવેશભાઇ અમરતભાઇ ચૌહાણ (દરજી) પાલનપુરની દુકાનમાં નોકરી કરે છે. જેમને બે વર્ષ અગાઉ અકસ્માત થયો હોઇ એક પગે ફ્રેકચર થયું હોવાથી બરોબર ચાલી શકતા નથી.
જેથી તેમના સમાજમાં કોઇ યુવતી લગ્ન કરવા તૈયાર થતી ન હતી. તેમના પરિવારજનો પણ લગ્નવાંચ્છુક યુવતીની શોધખોળ કરતા હતા. આવા સમયે પાલનપુર સીટીલાઇટ પાછળ રહેતા ભાવેશભાઇના મિત્ર મહેશભાઇ મગનભાઇ ઓડે તેમનો પરિચય પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના હાલોલના શૈલેષભાઇ રામાભાઇ ઓડ સાથે કરાવ્યો હતો. જેણે પાવાગઢના હૈદરઅલી ઉર્ફે એઝાઝ કાઝી સાથે મુલાકાત કરાવી મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના અક્કલકોટ તાલુકાના દેવીકોટની સુરેખાબેન રામકૃષ્ણ ક્ષત્રિય (ઉ.વ.26) બતાવી હતી. જે ભાવેશભાઇને પસંદ આવી હતી.
આથી તારીખ 22 માર્ચ 2022ના દિવસે તેણીને લઇ પાલનપુર આવ્યા હતા. જ્યાં તેમને રૂપિયા 1,60,000 અને રૂપિયા 10,000 ગાડીના ભાડાપેટે મળી કુલ રૂપિયા 1,70,000 આપ્યા હતા. અને તે વખતે જ ફુલહાર કરી કોર્ટમાં મૈત્રીકરાર કરી નળાસર ગામે લઇ આવ્યા હતા.આ છેતરપીંડીમાં શૈલેષભાઇ ઓડ અને તેની પત્ની ઉર્મિલાબેન ઓડ તેમજ હૈદરભાઇ અને તેની પત્ની યાસમીનાબેનને સાથે રાખી હતી. સાક્ષીમાં સહી કરાવી હતી.
*માતા- પિતા બીમાર હોવાનું બહાનુ કરી એજન્ટ સુરેખાને સુરત લઇ ગયો
મૈત્રી કરાર કર્યાના દસ દિવસ પછી 1 એપ્રિલના રોજ સુરેખાના માતા- પિતા બિમાર હોઇ હું લેવા આવું છુ. તેમ કહી હૈદર નરાસળ આવી દસ દિવસ પછી મુકી જઇશ તેમ કહી સુરેખાને લઇ ગયો હતો.ચાર દિવસ પછી સુરેખાએ ફોન કરી કહ્યુ કે, મારે નળાસર રહેવું નથી.તમે સુરત આવી જાવ. આથી ભાવેશે કામધંધાનું પુછતાં તેણીએ તમારે કામ- ધંધો કરવાની કોઇ જરૂર નથી તેમ કહ્યુ હતુ. જોકે, ભાવેશે માતા- પિતાને મુકીને ન આવી શકું તેમ કહેતા હું નળાસર આવવાની નથી અને મારે તમારા સાથે રહેવું નથી. તમે જેને પૈસા આપ્યા હોય તેની પાસેથી લઇ લેજો તેમ કહેતા ભાવેશભાઇએ હૈદરને નાણાં પરત કરવાની વાત કરી હતી. જે ખોટા વાયદા આપી ધમકી આપતાં આખરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
*પાટણના 1, પાલનપુરના બે યુવકોને પણ આજ ટોળકીએ ત્રણ માસમાં જ ઠગ્યા
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ટુડવ ગામના મનોજભાઈ ત્રિકમભાઈ ઓડ ને પણ આજ આરોપીઓએ રૂપિયા 2,50,000 રોકડા, લકી સહિત સોનાના દાગીના લઇ સુરતની અન્ય યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. જે યુવતી માત્ર બે જ દિવસ રહી રફુચક્કર થઈ ગઈ હતી. એવી જ રીતે પાલનપુરમાં રહેતા રવિભાઈ સાથે પણ અન્ય યુવતી સાથે લગ્ન કરાવી રૂપિયા 1,70,000 ની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમજ મહેશભાઈ સાથે પણ આ રીતે લગ્ન કરાવી નાણાં પડાવવામાં આવ્યા હતા.
*પત્નીને મોબાઇલ અને દોરો ગીફટમાં આપ્યો
મૈત્રી કરાર કર્યા પછી સુરેખાને નરાસળ લાવી ભાવેશે 15,000નો મોબાઇલ ગીફટ આપ્યો હતો. તેમજ તેમની માતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરવા આપ્યો હતો.
અહેવાલ – સમા સંદામ