રેલવે મંત્રાલયે કોવિડ-19ને જોતા રેગ્યુલર મેલ/એક્સપ્રેસ ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવી રહ્યા હતા
મેલ/એક્સપ્રેસ સ્પેશ્યલ અને હોલિડે સ્પેશયલ ટ્રેનોની સેવા હવે રેગ્યુલર ટ્રેનની જેમ જ દોડશે
સ્પેશ્યલ ભાડાની જગ્યાએ ફરીથી જૂનું રેગ્યુલર ભાડું જ લાગૂ થશે
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થયા બાદ રેલવે એ પણ એક અગત્યનો નિર્ણય લીધો છે. ભારતીય રેલવે એ કોરોનાકાળમાં સ્પેશ્યલ ભાડાની સાથે શરૂઆત કરેલી સ્પેશ્યલ ટ્રેનોને સામાન્ય રીતે ચલાવાની જાહેરાત કરી દીધી છે. આપને જણાવી દઇએ કે રેલવે મંત્રાલયે કોવિડ-19ને જોતા રેગ્યુલર મેલ/એક્સપ્રેસ ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવી રહ્યા હતા. પરંતુ હવે આ ટ્રેનોનું ફરીથી સામાન્ય ઓપરેશનલ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
એટલે કે મેલ/એક્સપ્રેસ સ્પેશ્યલ અને હોલિડે સ્પેશયલ ટ્રેનોની સેવા હવે રેગ્યુલર ટ્રેનની જેવી જ હશે. આ ટ્રેન ફરીથી રેગ્યુલર નંબરની સાથે દોડશે. સાથો સાથ સ્પેશ્યલ ભાડાની જગ્યાએ ફરીથી જૂનું રેગ્યુલર ભાડું જ લાગૂ થશે.

જાણો મુસાફરોને શું ફાયદો થશે
રેલવે બોર્ડે શુક્રવારના રોજ ઝોનલ રેલવેને લખેલા પત્રમાં કહ્યું કે ટ્રેનો હવે પોતાના નિયમિત નંબરની સાથે દોડશે અને ભાડું કોવિડ અગાઉનું જે હતું તે સામાન્ય થઇ જશે. કોરોના કાળમાં ચાલી રહેલી ટ્રેનોમાં નોર્મલથી 30% વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
1700થી વધુ ટ્રેન ફરીથી રાબેતા મુજબ
આ નિર્ણય બાદ આવનારા થોડાંક દિવસોમાં 1700થી વધુ ટ્રેનો, રેગ્યુલર ટ્રેનો તરીકે કામ કરવાનું શરૂ કરી દેશે. એ પણ કહેવામાં આવ્યું છે કે તમામ ટ્રેનોમાં કોવિડ-19 સાથે જોડાયેલા પ્રતિબંધ લાગુ રહેશે.
આ સિવાય કોવિડ પ્રોટોકોલની જેમ હાલ મુસાફરી દરમ્યાન ટ્રેનમાં કેટરિંગની વ્યવસ્થા શરૂ કરાશે નહીં. ચાદર અને ધાબળા પણ પેસેન્જરને રેલવેની તરફથી અપાશે નહીં.
એડવાન્સમાં બુક થઇ ચૂકેલી ટિકિટ પર એક્સ્ટ્રા ચાર્જ લાગશે નહીં
સર્કુલરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એડવાન્સમાં બુક થઇ ચૂકેલી ટિકિટો પર રેલવેની તરફથી ના તો કોઇ વધારાનો ટેક્સ વસૂલાશે અને ના તો કોઇ પૈસા પરત કરવામાં આવશે.
એકબાજુ ભારતીય રેલવે દ્વારા કોરોનાકાળમાં શરૂ કરાયેલ સ્પેશ્યલ ટ્રેનનો દરજ્જો ખત્મ કરવામાં આવી રહ્યો છે તો બીજીબાજુ દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.