પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે પહોંચવાનો પ્રયાસ કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલમાં ગુરુવારે રમાનારા ડબલ હેડરના પ્રથમ મુકાબલામાં પંજાબ કિંગ્સ સામે વિજય માટેની મજબૂત દાવેદાર તરીકે મેદાનમાં ઊતરશે. ધોનીની ટીમે સતત બે મેચ ગુમાવી હોવા છતાં તે પંજાબ સામે વિજય માટેની ફેવરિટ રહેશે. 
2020ની સિઝનના નિરાશાજનક પ્રદર્શનને ભૂલીને વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કરનાર ચેન્નઇની ટીમે યુએઇ તબક્કામાં પોતાનો દબદબો મેળવ્યો છે અને તેને હરાવવી પંજાબ માટે આસાન રહેશે નહીં. બેટિંગમાં ચેન્નઇની ટીમ રિધમમાં જણાય છે અને ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે.
ગાયકવાડ અને સાઉથ આફ્રિકાના અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસે ટોચના ક્રમમાં ઉપયોગી ભાગીદારી નોંધાવી છે. બે સિનિયર ખેલાડી સુરેશ રૈના અને સુકાની ધોનીનું ફોર્મ ચિંતાજનક બન્યું છે. જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકા અદા કરી રહ્યો છે.
રાજસ્થાન સામેની હાઇસ્કોરિંગ મેચમાં ચેન્નઇના બોલર્સ સામાન્ય રહ્યા હતા અને તેમણે પ્લે ઓફ પહેલાં પોતાની ભૂલો સુધારવી પડશે. દીપક ચહરે ૧૨ વિકેટ તથા શાર્દુલ ઠાકુરે ૧૫ વિકેટ ઝડપી છે. બંને બોલર્સ ઉપર વધુ એક વખત મદાર રહેશે. બ્રાવો પણ રિધમમાં હોવાના કારણે ચેન્નઇને સેમ કરનની ખોટ પડશે નહીં.
બીજી તરફ પંજાબની ટીમ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શકી નથી. સુકાની રાહુલ અને મંયક અગ્રવાલને બાદ કરતાં એક પણ બેટ્સમેન ઝળકી શક્યો નથી. બોલિંગમાં મોહમ્મદ શમીએ ૧૮ તથા અર્શદીપે ૧૬ વિકેટ ઝડપી છે. પંજાબનો ટાર્ગેટ મોટા ર્માિજનથી વિજય હાંસલ કરવાનો રહેશે પરંતુ પ્લે ઓફમાં પ્રવેશવાની તેની આશા નહિવત્ છે.