ગબ્બર બનાવવા ગામના યુવાનો જાહેર સ્થળોથી થર્મોકોલ વીણી વીણીને લઈ આવ્યા માત્ર મોબાઇલમાં ફોટો જોઈને દ્વારિકાધીશનું જાજરમાન મંદિર નિર્માણ કરી નાખ્યું.
ગાંધીનગરનાં ધોળાકૂવા ગામના યુવાનો દ્વારા ગામમાં વર્ષોથી નવરાત્રિ ગરબાનું આયોજન નહીં થતું હોવાથી નવરાત્રિની ઉણપ પૂરી કરવાના આશયે મનોરંજનની સાથે ધાર્મિકતા પણ જળવાઈ રહે તેવા શુભ આશયથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ ધાર્મિક યાત્રા દરમિયાન જોયેલા જાજરમાન દ્વારકાધીશ મંદિરથી પ્રભાવિત થઈ આબેહૂબ અદ્દલ સાત માળનું મંદિર પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. નવાઈ ની વાત એ છે કે ગબ્બર અને મંદિર નિર્માણ માટે થર્મોકોલનો ઉપયોગ કરાયો છે એ પણ માત્ર મોબાઈલમાં ફોટો જોઈને.
પાવાગઢની થીમ પર ગબ્બર બનાવવામાં આવ્યો
ધોળાકૂવા ગામમાં નવરાત્રિ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવાગઢની થીમ પર ગબ્બર બનાવવામાં આવ્યો છે. જેમાં ઋષિ આશ્રમ, ઝરણા, રોપ વે, સ્ટ્રીટ લાઈટો, નાના મોટા મકાનો, મહેલો, રોડ રસ્તા જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ માટે મંડળના યુવકો તેમજ ગામના નાના મોટા યુવાનો રસ્તામાં પડી રહેતા થર્મોકોલ વીણી વીણીને એક નાની અમથી બનાવેલી ઓફિસમાં એકઠી કરતા અને અહીં જ તેને અવનવી ડિઝાઇનમાં કાપીને આખરી ઓપ આપી વેસ્ટમાંથી બેસ્ટ પાવાગઢની થીમ પર ગબ્બરનું નિર્માણ કરાયું છે.
થર્મોકોલને વીણી લાવી ઓફિસમાં એકઠું કરતા
બીજી તરફ આધુનિક યુગમાં નવરાત્રિએ મોટા પાર્ટી પ્લોટોમાં જવાનું ચલણ વધ્યું છે. ત્યારે ધોળાકૂવા ગામમાં નવરાત્રિનું કોઈ મોટું આયોજન વર્ષોથી થતું નથી. જેનાં પગલે ગામનાં યુવકો મનોરંજનની સાથે ધાર્મિકતા પણ જળવાઈ રહે તે ઉદ્દેશથી અલગ અલગ થિમ પર ગબ્બરનું પણ નિર્માણ કરતા આવ્યા છે. આ અંગે અમિત ઠાકોરે જણાવ્યું હતું કે, ગબ્બર બનાવવા માટે મંડળના યુવકો તેમજ ગામનાં અન્ય યુવકો જ્યાં કોઈપણ જગ્યાએ જાહેર માર્ગો પર પડી રહેલા થર્મોકોલને વીણી લાવી ઓફિસમાં એકઠું કરતા હતા.
બે મહિના મહેનત કરી
બાદમાં રાજુ અમરતજી ઠાકોર થર્મોકોલનું ડિઝાઈન મુજબ કટિંગ કરી આપતા હતા. અને વિજય ગાભાજી ઠાકોર તેમજ નાના મોટા 12 લોકોની ટીમે બે મહિનાથી મહેનત કરવામાં આવતી હતી. ત્યારે આજે પાવાગઢની થીમ પર ગબ્બરનું નિર્માણ શકય બન્યું છે. જેનું અંડર ગ્રાઉન્ડ થી લઈ તમામ લાઈટનિંગનું કામ ચેતન ઠાકોરે કર્યું છે.
જુની પરંપરા મુજબ ગબ્બરનું નિર્માણ
નવરાત્રિ ગરબાની ઉણપ અમારા ગામમાં ગબ્બર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જેને જોવા માટે આસપાસના ગ્રામજનો તેમજ શહેર માંથી પણ મોટી સંખ્યામાં લોકો રાત્રે આવે છે. આધુનિક યુગમાં ડીજેનાં તાલે યોજાતા ગરબા વચ્ચે અમારા ગામમાં આજે પણ જુની પરંપરા મુજબ ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઋષિ આશ્રમ, ઝરણા, નાના મોટા મકાનો, મહેલ, પુલ, લિફ્ટ, રોપ વે, વાંકા ચૂંકા રસ્તા, બ્રિજ સહિત રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટ વિગેરે નું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. નવાઈ ની વાત એ છે કે આ વેસ્ટ થર્મોકોલ એ પણ વીણી વીણી ને એકઠું કરીને તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે ધોળાકૂવા ગામના યુવકોની આગવી કોઠા સૂઝથી નિર્માણ પામેલ પાવાગઢને જોતા જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.
દ્વારકાધિશનું મંદિર 4 મહિનામાં તૈયાર કરાયું
મંડળના યુવકોએ ભગવાન દ્વારકાધીશનાં સાત માળના મંદિરનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાતએ છે કે, આના માટે કોઈ ડિઝાઈન કે હાઈટેક ટેકનીકનો ઉપયોગ કરાયો નથી. બસ દ્વારકાધીશનાં મંદિરના ફોટા જોઈને જ ચાર મહિનાની મહેનત પછી આબેહૂબ મંદિર તૈયાર કરી દેવામાં આવ્યું છે.
દ્વારકાનું મંદિર જોઇ આ મંદિર બનાવવાનો વિચાર આવ્યો
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અમિત મનુજી ઠાકોર, મહેન્દ્ર બુધાજી ઠાકોર, વિજય ગાભાજી ઠાકોર, ચેતન ઠાકોર સહિતના યુવાનોએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિના પહેલાં ઠાકોર સમાજના અગ્રણીની દ્વારા સમાજના લોકોને દ્વારકાધીશનાં દર્શને લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણનું જાજરમાન મંદિર જોઈને ધોળાકૂવાના બળીયાદેવ યુવક મંડળના યુવાનોને પણ મંદિર નિર્માણ કરવાનો વિચાર આવ્યો હતો.
ફોટો જોઇને મંદિરનું નિર્માણ કર્યું
બસ પછી તો યાત્રાથી પરત ફર્યા પછી મંડળના યુવકોએ દ્વારકાધીશનાં મંદિરના ફોટા જોવાનું શરૂ કર્યું હતું. એક ફોટો સારો એવો શોધી કાઢવામાં આવ્યો અને થર્મો કોલ ની સીટો, ફેવીકોલ, ટાંકણીઓનાં બોક્સ મંગાવી લેવામાં આવી. કોઈપણ જાતની હાઈટેક ટેકનોલોજી, નકશો કે અન્ય સાધન સામગ્રી વિના જ માત્ર ફોટો જોઈને ઓરિજિનલ મંદિરનું પ્લેટ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું.
સોશિયલ મીડિયામાં વીડિયો જોઇ થર્મોકોલ કટિંગ કર્યા
શરૂઆતમાં થર્મોકોલને કાપવા માટે કટરનો ઉપયોગ કરતા વ્યવસ્થિત સીટ કટિંગ થતી ન હતી. જેથી કરીને ફરી યુવાનોએ યુ ટ્યુબ પર થર્મોકોલ કટિંગ માટેના મશીનનાં વિડિઓ જોયા. અને માત્ર એક જ કલાકમાં થર્મોકોલ કટિંગ માટેનું મશીન પણ જાતે જ બનાવી દેવામાં આવ્યું હતું. બસ પછી તો 26 જુલાઈથી વિધિવત રીતે મંદિર નિર્માણ નું કાર્ય શરૂ કરવામાં આવ્યું. દિવસ દરમિયાન યુવકો કામ ધંધે જતાં અને રાત્રે 9 થી સવારના 4 વાગ્યા સુધી મંદિર તૈયાર કરવામાં લાગી જતા હતા.
360 બીમ ઉભા કરવામાં આવ્યા
આ સાત માળનું મંદિર ઊભું કરવા માટે 360 બીમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આગળના ભાગે 4 માળ અને પાછળ મુગટ વાળા ભાગે બીજા ત્રણ માળ ઉભા કરવામાં આવ્યા છે. છેલ્લા ચારેક મહિનાની મહેનત પછી હજી પણ 20 %કામ બાકી છે. પરંતુ મોટાભાગનું મંદિર તૈયાર થઈ ચૂક્યું છે. મંદિર નિર્માણ માટે 150 થી વધુ થર્મો કોલ ની સીટો, 80 થી વધુ મોટા ટાંકણીના બોક્સ તેમજ 15 કિલો ફેવીકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દ્વારકાધીશના મંદિરનાં શિખર પર જે રીતે હાથી, વાઘ, સિંહ વગેરે છે એજ રીતે થર્મોકોલનાં આબેહૂબ મંદિરમાં પણ લગાવવામાં આવ્યા છે. જેને હજી આખરી ઓપ આપવાનું કામ યુદ્ધનાં ધોરણે ચાલી રહ્યું છે. આ મંદિરનાં નિર્માણ માટે મહેન્દ્ર ઠાકોરની આગવી કોઠા સૂઝના કારણે આભારી છે.
આ સિવાય પણ મંડળના યુવકોએ અત્યાર સુધીમાં પ્રસંગને અનુરૂપ વિવિધ થીમ પર ઐતિહાસીક અને પ્રજામાં સંદેશો જાય એવા સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યા છે. જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, સોમનાથ મહાદેવ જ્યોતિલિંગ, ચાંપાનેર તેમજ ટ્રાફીક અવેરનેસ, કોરોના મહામારીમાં માસ્ક અને ધન્વંતરિ રથ પણ થર્મોકોલથી તૈયાર કરવામાં આવ્યા છે