ગાંધીનગરના સોનારડા ગામે છેલ્લાં દસ વર્ષથી જમીન ઉપર કબ્જો કરીને જમીન હડપ કરી લેનાર ત્રણ ઈસમો વિરુદ્ધ કલેકટરના હુકમથી ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર તાલુકાના સોનારડા ખાતે દેરાવાળો વાસમાં રહેતા મેલાજી રમેશજી ઠાકોરે જિલ્લા કલેકટર કચેરી ખાતે જમીન પચાવી પાડવા બાબતની અરજી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સોનારડાના સર્વે નંબર 558 ની જમીન 1-09-76 હે. આરે.ચો.મી. ની તેમના પિતા તથા તેમના ભાઇ બળદેવજી શનાજી તથા કાળાજી શનાજી તથા બહેન સવિતાબેન શનાજીના નામે ચાલતી હતી.
ત્રણેક વર્ષ અગાઉ તેમના પિતાનું મૃત્યુ થયા પછી વારસાઈ કે મેલાજીનું તથા તેમના ભાઈના નામ દાખલ કરવામાં આવ્યા હતાં. હાલમાં રેવન્યુ રેકર્ડ પ્રમાણે પણ તેમના નામ ચાલે છે. પરંતુ આ જમીન પૈકી આશરે એક વીઘા જેટલી જગ્યામાં ગામના ખોડાજી કુલાજી ઠાકોર તથા રણજીત ખોડાજી ઠાકોર તથા સંજ્ય ખોડાજી ઠાકોરે કબ્જો કરી લીધો હતો.
છેલ્લા દસેક વર્ષથી તેઓએ આ જગ્યાનો કબજો કરી અને હાલમાં એક પતરાના શેડવાળું છાપરું બનાવી ખેતી કરે છે. આ જગ્યા ખાલી કરવા માટે તેઓને વારંવાર કહેવા છતાં તેઓ માન્ય ન હતા અને જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. જેથી આ મામલે મેલાઈએ કલેક્ટર ગાંધીનગરમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને કલેક્ટરે ગુનો નોંધવાનો હુકમ કરતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.