રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્ત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના ખોરજ ગામથી મુખ્યમંત્રી કરાવશે.
ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી આ સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે એટલે કે 104 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે.
ગુજરાતમાં અનિયમીત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ સ્તર નીચે ઉતરતા જવાથી તેમજ ક્ષારયુકત-ફલોરાઇડવાળા પાણીથી ખેતી અને માનવજાતને થતા નુકસાનથી ઉગારવાના ઉપાય રૂપે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન 2018માં શરૂ થયું છે. રાજ્ય સરકારના જુદા જુદા 6 વિભાગો એક સાથે મળીને આ અભિયાનના ઉદેશ્ય પૂર્ણ કરવા જળ સંચયને લગતા વિવિધ કામો લોકભાગીદારીથી કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં સતત બીજા વર્ષે આ રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરાશે.
આ અભિયાન અન્વયે 2023માં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડિલિસ્ટિંગના કામો, રિપેરિંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પુનઃજિવિત કરવાના અને નહેરોની રાજ્યભરમાં કરવામાં આવશે.
આ સુજલામ સુફલામ જળ અભિયાનને કારણે વરસાદી પાણીનો સંગ્રહ થવાથી રાજ્યના ખેડૂતોને સિંચાઇમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બેય રીતે લાભ મળે છે. એટલું જ નહિ, ખોદકામની કામગીરીથી નીકળતી માટી તેમજ કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરમાં તથા સરકારના અન્ય વિકાસ કામોમાં પણ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીને કારણે લાખો માનવદિન રોજગારી મળવા સાથે ઢોર-ઢાંખર પશુઓને પીવા માટે પાણી સરળતાએ મળી રહે છે.