અંજાર તાલુકા પોલીસે બિલ કે આધાર પુરાવા વગરના ચોરાઉ હોવાના શંકાના આધારે છોટાહાથી દ્વારા લઈ જવામાં આવતા ચોખા અને ખાંડના જથ્થા સાથે મહિલાઓ સહિત 4 ઇસમોને ઝડપી લીધા હતા. આ અંગે અંજાર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અશાબા વે બ્રિજ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક છોટાહાથી ત્યાંથી પસાર થયુ હતુ. ત્યારે પોલીસને શંકા પડતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી રૂ.14,750ના 590 કિલો બોરીમાં પેક ચોખા અને રૂ.10,500ની કિંમતની 700 કિલો બોરીમાં પેક ખાંડનો જથ્થો મળી આવ્યો હતો. જયારે આ છોટાહાથીમાં સવાર પંચવાડી, આદિપુરમાં રહેતો ગોવિંદ કાનજીભાઈ ધેડા, અલંકી સોસાયટી આદિપુરમાં રહેતા કેસરબેન મનજી સિજુ, દેવલબેન મનજી ધુવા અને આદિપુર ઝુંપડા વિસ્તારમાં રહેતો સુરેશ રામજીભાઈ ધેડાની પૂછપરછ કરતા તેમના પાસે મળેલા મુદ્દામાલ અંગેના બિલ કે પુરાવા ન હતા. જેથી આ ચોરી કે છળકપટ મારફતે મેળવેલા હોવાની શંકાના આધારે છોટાહાથી સહિત કુલ રૂ.1,75,250ના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
રિપોર્ટર – જાવેદ શા