સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલા દલજીતનગરમાં ગુરુવારે વહેલી સવારે સંભવ ગુહ ઉદ્યોગમાં આકસ્મિક આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ઈડર ફાયર વિભાગને જાણ કરતા ત્રણ ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ અંગેની વિગતે એવી છે કે દલજીતનગરમાં આવેલા બાળ અને પરિવાર કલ્યાણ સમિતિની પાછળના ભાગે ગૃહ ઉદ્યોગના એકમો આવેલા છે. જેમાં સંભવ ગૃહ ઉદ્યોગના એકમમાં આકસ્મિક આગ લાગી હતી. જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તો આગ અંગે ઈડર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયર વિભાગના એક મિની અને બે મોટા સહિત ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચ્યા હતા અને બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું.
આ અંગે ઈડર ફાયર વિભાગના ફાયર ઓફિસર કમલ પટેલે જણાવ્યું હતું કે આજે સવારે સંજય બી. દોશીના માલિકીના સંભવ ગૃહ ઉદ્યોગમાં આકસ્મિક આગ લાગી હતી. જેથી ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચ્યા હતા અને બે કલાકમાં 17 હજાર લીટર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. આ એકમમાં લુઝ ફરસાણ અને ખાખરાનું પેકિંગ કરવાના પ્લાસ્ટિકના મટીરિયલ અને લાકડાના ટેબલ હતા જેમાં આગ લાગી હતી.