આ કૂવા નહીં, પણ ભૂવા છે:રાજ્યમાં અનેક જગ્યાએ નાહવા પડી શકાય એવા 10-10 ફૂટના ખાડા, કેટલીક જગ્યાએ તો રોડ જ ‘ગાયબ’
* ગુજરાતનો વિકાસ ‘ધોવાયો’
રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જવાની સમસ્યા વકરી છે. આ વર્ષે પણ છેલ્લા 15 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા એનો ખ્યાલ જ આવતો નથી. દર વર્ષે વરસાદ વિકાસની પોલ ખોલી નાખે છે. હવે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સાથે સાથે ગુજરાત સરકાર પણ ખાડા માટે મેદાન ઊતરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ખાડાઓને કારણે અનેક નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે તો ઘણા ઈજાનો ભોગ બને છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
*રાજપીપળાના રીંગણી ગામ પાસે 10 ફૂટ ઊંડો ખાડો
રાજપીપળાના રીંગણી ગામ પાસે મુખ્ય માર્ગ સંપૂર્ણ ધોવાઈ ગયો છે તેમજ 10 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો છે. આ ખાડો એટલો તો મોટો હતો કે રસ્તો ક્રોસ કરીને જવાની જગ્યા પણ બચી નથી, જેને પગલે ગામમાંથી અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. સ્થાનિકોને વાહન લઇ બહાર નીકળાય એવી પરિસ્થિતિ રહી નથી અને ચાલીને જવામાં પણ જોખમ છે.
*બોટાદઃ પાણી ભરવાથી લોકો પરેશાન
જ્યારે બોટાદ શહેરના ભાંભણ રોડ પર સામાન્ય વરસાદમાં રસ્તાનું ધોવાણ થયું છે. ભાંભણ રોડ પર આવેલા હિફલી વિસ્તારમાં આશરે 300 જેટલા હીરા ઉદ્યોગનાં કારખાનાં છે અને આસપાસનાં 50થી વધુ ગામના રત્નકલાકારો અહીં હીરા ઘસવા માટે આવે છે. રોડ પર મસમોટા ખાડાઓ અને પાણી ભરેલા હોવાને કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલી સહન કરવી પડી રહી છે. વાહનચાલકોએ આ ખાડાઓમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે.
*હાલોલઃ આડેધડ ખોદકામથી ખાડાઓ પડ્યા
હાલોલના ગોધરા રોડ તરફના માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડાઓ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે. આમ છતાં જવાબદાર અધિકારીઓ સૂચક મૌન ધારણ કરી બેસી રહ્યા છે.
હાલોલમાં ચોમાસા દરમિયાન વરસેલા વરસાદને પગલે મંથર ગતિએ ચાલી રહેલી ગટરલાઈનની કામગીરી દરમિયાન કરવામાં આવેલા આડેધડ ખોદકામને લઈ મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ગોધરા રોડ ઉપર ઔદ્યોગિક વસાહત આવેલી હોવાથી અહીં ભારે વાહનોની અવરજવર રહે છે, તેવામાં રોડ ઉપર પડેલા ખાડાઓ સૌકોઈ માટે માથાનો દુખાવો બન્યા છે. માર્ગ મકાન વિભાગ કે પાલિકાના નક્કર આયોજનના અભાવે આ ખાડાઓમાં પુરાણ કરવામાં ન આવતાં આ ખાડાઓમાં પાણી ભરાતાં ટૂ-વ્હીલરચાલકો ખાડાઓમાં ખાબકી રહ્યા છે.
*રંગીલા રાજકોટનો ‘વિકાસ’ ખાડામાં
રંગીલું શહેર ગણાતા રાજકોટનો વિકાસ ખાડામાં પડ્યો છે. શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના 20 દિવસમાં કુલ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે તંત્રની પોલ પણ ખૂલી છે. રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં 48 રાજમાર્ગો સહિત છેવાડામાં વિસ્તાર સહિત તમામ રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર એક તરફ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન બીજી તરફ વરસાદને કારણે પાણી ભરાવવા તેમજ ખાડા પડવાને કારણે લોકોની મુશ્કેલીમાં બમણો વધારો થયો છે.
*150 ફૂટ રિંગ રોડ પર જ ખાડા રાજ
રાજકોટ શહેરના 48 રાજમાર્ગો પૈકીનો એક છે 150 ફૂટ રિંગ રોડ પર કે જ્યાં પણ વરસાદી પાણી ભરાવવા અને વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી જવાની સમસ્યાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાણાવટી ચોકથી રામાપીર ચોક વચ્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે, જેને કારણે લોકો છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવામાં વરસાદના કારણે એ જ જગ્યા પર પાણી ભરાવવા અને ખાડા પડવાની સમસ્યાથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. થોડે આગળ જોઈએ તો રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક મુખ્ય ચાર રસ્તા પર જ ખાડા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભારે વરસાદને કારણે સુરતના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. પાલિકા દ્વારા ત્રણ દિવસમાં રિપેરિંગ કરી દેવાના વાયદા કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ રસ્તાઓ રિપેર પણ કરવામાં આવ્યાં છે. જોકે હજુ પણ વરાછા વિસ્તારના ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે. જે હજુ પણ રિપેર થયા નથી. વરાછાના લંબે હનુમાન રોડ મારુતિ ચોક પાસે નીલંકઠ સોસાયટી નજીકના રસ્તા પર ડામર ઓછો અને ખાડા વધુ હોવાથી સ્થાનિકો પણ ચિંતિત છે. આ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન થતી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.
*કમરના મણકા ખસી જાય એવા રસ્તા
સ્થાનિક અને સોસાયટીના પ્રમુખ જગદીશભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોય એવું લાગી રહ્યું છે. ખરાબ રસ્તાઓ શહેરભરમાં રિપેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમારે ત્યાં કોઈ જ કામગીરી થતી નથી, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. કમરના દુખાવા થઈ જાય એ પ્રકારના ખાડાઓ રસ્તા પર પડ્યા છે, પરંતુ શાસકો દ્વારા તૂટેલા રસ્તાઓ મુદ્દે વાતો થાય છે. અધિકારીઓ અમારા વિસ્તારમાં ફરકતા પણ ન હોય એવી સ્થિતિ છે. રજૂઆતો પર પણ કોઈ ધ્યાન અપાતું નથી.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી