આર્થિક સ્થિતિ સારી ના હતી અને બીજા બાળકનું ભરણપોષણ કરવામાં સક્ષમ ન હતા, તેથી પોતાની માતાએ જ બાળકીને ખેતરમાં જીવતી દાટી દીધી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીનાં માતા-પિતા મળી આવ્યાં છે. અને માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ આ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.
હિતેન્દ્રસિંહના ખેતરમાં કામ કરનાર મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. એને પગલે તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે રોષ વરસાવ્યો હતો. જીવિત નવજાત શિશુને 108 મારફત હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં તે પણ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે 108 સાબરકાંઠાના સુપરવાઈઝર જૈમિન પટેલે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે 10 વાગ્યે ફોન આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે, જેથી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરવમાં આવી હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા તબીબી અધિક્ષક ડો. એન.એમ શાહે બાળકી જીવી ગઈ તે અંગે જણાવ્યું હતું કે નાળ-એમ્બેલિક્લ કોર્ડ સાથે હોવી જોઈએ અથવા માટીનું આવરણ ઓછું અને સમય જેવા કારણ હોઈ શકે છે. નાળના કારણે નવજાતને ઓક્સિજન મળતો રહે છે
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી