ખેડૂતોએ વાત્રક નદીમાં વૈડી ડેમમાંથી પાણી છોડવા માંગ કરી
15થી વધુ ગામના ખેડૂતોનો શિયાળુ પાક ખરાબ થવાની સ્થિતિમાં
આઠથી દસ હજાર હેક્ટર જમીનના વાવેતરને પાણીની જરૂર
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામ તથા આસપાસના ગામના ખેડૂતો દ્વારા ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં વૈડી ડેમમાંથી પાણી છોડવા માંગ કરી છે. જેમાં ખેડૂતોએ નદીમાં બેસી રામધૂન બોલાવી છે.

15થી વધુ ગામના ખેડૂતોનો શિયાળુ પાક ખરાબ થવાની સ્થિતિમાં
માલપુર તાલુકાના ચાર ગામ અને મેઘરજ તાલુકાના 6 થી 7 ગામ વાત્રક નદીને કિનારે વસેલા છે. જેમાં વાત્રક નદીમાં ચાલુ ચોમાસા સિઝનમાં વરસાદ ઓછો થયો હોવાથી નદી નાળા સુકાઈ જવા પામ્યા છે. જેથી વાત્રક નદી કિનારાના માલપુર અને મેઘરજ તાલુકાના 15 થી વધુ ગામના ખેડૂતોનો શિયાળુ પાક મુરજાવાની સ્થિતિમાં છે. તેમજ ખેડૂતોએ વાવેતર કરેલ બટાકા, ચણા, ઘઉં, વરિયાળીના પાકમાં ખૂબ મહેનત કરીને તૈયાર કર્યો છે.
હાલ વાત્રક નદી સૂકી ભટ ભાસે છે
લગભગ 500 કરતા પણ વધુ ખેડૂતોની આઠ થી દસ હજાર હેક્ટર જમીનમાં કરેલ વાવેતરને હવે પાણીની જરૂર છે. હાલ વાત્રક નદી સૂકી ભટ ભાસે છે. નદી સુકાઈ ગઈ હોવાથી આસપાસ ના બોર કુવામાં પણ પાણીનું લેવલ ઘટી ગયું છે. જેથી ખેડૂતો સિંચાઈના પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી
વાત્રક નદી પર આવેલા પરસોડા ગામના તથા આસપાસના ખેડૂતોએ પોતાની વેદના સંદેશ ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાત્રક નદી પર મેઘરજ તાલુકામાં વૈડી ડેમ ચાલુ ચોમાસે સો ટકા ભરાયો છે. પરંતુ આ ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. જેથી આગળના ગામોમાં પસાર થતી વાત્રક નદી બિલકુલ સૂકી જણાય છે.
મુરાજાતા ખેતીપાકને જીવતદાન મળી શકે છે
જો વૈડી ડેમમાંથી પાણી વાત્રક નદીમાં છોડવામાં આવે તો મેઘરજ પછીના વાત્રક નદી કિનારાના તમામ ગામોના ખેડૂતોને પાણી મળી શકે અને મુરાજાતા ખેતીપાકને જીવતદાન મળી શકે છે. જેથી માલપુરના પરસોડા અને આસપાસના ખેડૂતોની માંગ છે કે વાત્રક નદીમાં વૈડી ડેમમાંથી પાણી છોડવામાં આવે. ખેડૂતો દ્વારા વાત્રક નદીમાં પાણી છોડવાની માંગ સાથે રામધૂન પણ કરી હતી.