પડોશી તો હંમેશા એકબીજાને સમૃદ્ધ કરે છે
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી પ્રમાણે રશિયા હુમલાના પહેલાં દિવસે 137 લોકોના જીવ ગયા છે. જેલેંસ્કીએ એક વીડિયોમાં આ વિશે માહિતી આપી છે. આજે અમે અમારા 137 હિરો, અમારા નાગરિકોને ગુમાવી દીધા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. તે સિવાય તેમણે યુદ્ધમાં કોઈનો સાથ ના મળવા વીશે પણ વાત કરી છે. રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી. યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે…
રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીએ તેમના આ વીડિયો મેસેજમાં પાટનગર કિવમાં રહેતા લોકોને સતર્ક રહેવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, રશિયાએ કિવમાં પ્રવેશ કર્યો છે. આ સંજોગોમાં શહેરના નાગરિકો સતર્ક રહે અને કર્ફ્યૂનું પાલન કરે. તે સિવાય રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, રશિયાનું લક્ષ્ય નંબર વન દેશ થવાનું છે પરંતુ તે અને તેમનો પરિવાર યુક્રેનમાં જ રહેશે.
રશિયા મને ખતમ કરી દેવા માંગે છે
જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજકિય નુકસાન પહોંચાડવા માંગે છે.
જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નાટોના 27 યુરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ નથી આપ્યો. દરેક લોકો ડરેલા છે. પરંતુ અમે ડરીશું નહીં. અમને કોઈ વાતનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમને અમારો દેશ બચાવવામાં ડર નથી, અમને રશિયાનો ડર નથી, અમે રશિયા સાથે વાતચીત કરવામાં પણ નથી ડરતાં.
યુક્રેન નાટોમાં સામેલ થવા માંગે છે પરંતુ રશિયા તેના વિરોધમાં છે. વર્ષ 2014માં યુક્રેનમાં રશિયા સમર્થિત સરકાર પડી ગઈ હતી. ત્યારથી યુક્રેનની સરકાર નાટોમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ રશિયા નાટોને રશિયાની સુરક્ષા માટે જોખમ માને છે. તેથી કોઈ પણ રીતે અમને નાટોના સભ્ય બનાવા દેતા નથી.
યુક્રેન રાષ્ટ્રપતિએ રશિયાની જનતાને મદદની અપીલ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીએ તેમના સંબોધનમાં રશિયન નાગરિકોને પણ મદદની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે રશિયન ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે, મેં આજના દિવસની શરૂઆત રશિયન સંઘના રાષ્ટ્રપતિને ફોન કરવાથી કરી છે. પરંતુ જવાબમાં મને મૌન મળ્યું. જે ખરેખર ડોનબસમાં હોવુ જોઈએ. તેથી હું રશિયાના દરેક નાગરિકને સંબોધન કરવા માંગુ છું.
અમે 2,000 કિમી લાંબી આંતરીક સીમાથી વહેચાયેલા છીએ. તેની એક બાજુ તમારા 2 લાખ સૌનિક અને 1 હજાર સશસ્ત્ર વાહન છે. તમારા નેતૃત્વએ તેમને બીજા દેશમાં જવાની સહમતી આપી છે. આ નિર્ણય એક મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે. કોણ પણ કારણ, કોઈ પણ ઉશ્કેરતી વાત, તણખલું બધુ સળગાવીને રાખ કરી શકે છે. તમને કહેવામાં આવ્યું છે કે, આ આગ યુક્રેનના લોકોને આઝાદી અપાવશે પરંતુ યુક્રેનના લોકો સ્વતંત્ર જ છે.
અમે નાઝી નથી, રશિયન સંસ્કૃતિથી નફરત પણ નથી કરતાં
તમને કહેવામાં આવ્યું છે કે, અમે નાઝી છીએ. પરંતુ તે લોકો નાઝીવાદને સમર્થન કેવી રીતે આપી શકે છે જેમણે નાઝીવાદ પર જીત માટે 80 લાખ લોકોની કુરબાની આપી છે? અમે નાઝી કેવી રીતે હોઈ શકીએ? એ વાત મારા દાદાજીને પૂછો જે સોવિયત રશિયાની પદ સેનામાં સંપૂર્ણ યુદ્ધ સમયે સામેલ રહ્યા અને એક કર્નલ તરીકે સ્વતંત્ર યુક્રેનમાં તેમનું નિધન થયું. તમને કહેવામાં આવ્યું છે કે, અમે રશિયન સંસ્કૃતિથી નફરત કરીએ છીએ. પણ એમ કોઈ દેશની સંસ્કૃતિથી નફરત કરીશું?
પડોશી તો હંમેશા એક બીજાને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ કરે છે. તેનાથી આપણે ના એકબીજાથી એકદમ અલગ હોઈએ છીએ ના એકબીજામાં ભળી જઈએ છીએ. ચોક્કસ અમે અલગ છીએ, પરંતુતે દુશ્મન બનવાનું કારણ ના હોવું જોઈએ. યુક્રેનના લોકો શાંતિ ઈચ્છે છે, યુક્રેનના અધિકારીઓ શાંતિ ઈચ્છે છે. તેના માટે અમે બધુ કરી રહ્યા છીએ. અમે યુદ્ધ કરવા નથી માંગતા.
તેમ છતાં અમારા પર હુમલા થઈ રહ્યા છે. જો કોઈ અમારી જમીન છીનવવા માંગશે, અમારી આઝાદી, જીવન, અમારા બાળકોનું જીવન છીનવવાનો પ્રયત્ન કરશે તો અમે પોતાની રક્ષા કરીશું. અમે હુમલો નહીં કરીએ પણ અમારી પોતાની રક્ષા કરીશું. અમારા પર હુમલો કરીને તમે અમારો ચહેરો જોશો, અમારી પીઠ નહીં.
યુક્રેનના એમ્બેસેડર ભાવુક થયા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન પર હુમલો કર્યાની જાહેરાત કર્યા પછી યુએનમાં યુક્રેની એમ્બેસેડર સર્જી કિસ્લિત્સિયા ભાવુક થઈ ગયા હતા, તેમણે દુનિયાને તેમના દેશને બચાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને બચાવી લો, રશિયા અમારા વિસ્તારને બરબાદ કરી નાખશે. તેમણે કહ્યું હતું કે અમે અહીં બેસીને શાંતિથી વાત કરવાની વાત કરીએ છીએ અને ત્યાં રશિયા અમારા વિસ્તારમાં સેના મોકલી રહ્યું છે.
એમ્બેસેડરે યુએનને કહ્યું છે કે યુદ્ધ રોકવાની જવાબદારી આ હાઉસની જ છે. કિસ્લિત્સિયાએ દરેક દેશોને અપીલ કરતાં કહ્યું છે કે તમારા બધાથી જે પણ શક્ય હોય એ પ્રયત્ન કરો. તેના જવાબમાં રશિયન એમ્બેસેડરે કહ્યું હતું કે રશિયાએ મિલિટરી ઓપરેશનની મંજૂરી આપી છે, યુદ્ધની જાહેરાત નથી કરી.