કલોલ શહેરનાં પંચવટી ખાતે સાનિધ્ય સોસાયટીમાં નવા બનાવેલા મકાનના ફર્નિચરનું કામ મકાનના માલિક મુકેશ શાહ પાસેથી ધનરાજ સુથારે રાખ્યું હતું. જે બાબતે મકાન માલિક મુકેશ શાહ પાસે ધનરાજ સુથારે 1 મહિનાની મજૂરી પેટે 1 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. ફર્નિચરનું કામ મકાનમાં 80% હાલ પૂરું પણ થઇ ગયું હતું, અને 20 ટકા કામ બાકી હતું. જ્યારે કામ રાખ્યું ત્યારે ફર્નિચરના કામ પેટે એડવાન્સમાં 40 હજાર રૂપિયા મકાન માલિકે આપેલા હતા, અને 60,000 રૂપિયા લેવાના બાકી હતા. ગઈકાલે ધનરાજ સુથાર મુકેશ શાહના મકાનના ફર્નિચરના કામ માટે કામ કરતા હતા. મકાનમાં કલર કામ ચાલતું હતું, અને કલર કામના 2 માણસો પણ તેમનું કામ કરી રહ્યાં હતાં.
ત્યારે સાંજે આશરે પોણા 5 વાગ્યા પછી મકાન માલિક મુકેશ શાહનો ધનરાજ સુથાર ઉપર ફોન આવ્યો હતો. જેમાં ધનરાજે કહ્યું હતું કે, ફર્નિચરનું કામ ચાલુ છે, થોડું મટીરીયલ જોઈશે માટે મારા નક્કી કરેલા પૈસામાંથી બાકી નીકળતા 60,000 રૂપિયા મને આપી દો. આ બાબતે મકાન માલિક મુકેશ શાહ એકદમથી ધનરાજ ઉપર ગુસ્સે થઈ ગયા હતા, અને કહ્યું હતુ કે, હવે તને એક પણ પૈસો ઉપાડ મળશે નહીં. એમ કહીને સીધો ધનરાજ ઉપર હાથ ઉપાડી દીધો હતો. જેથી ધનરાજના નાના ભાઈ વચ્ચે પડતા તેને પણ લાકડી વડે માર માર્યો હતો. જેમાં નાના ભાઈને ના વાગે તે માટે ધનરાજ વચ્ચે પડવાથી ધનરાજના માથાના ભાગ ઉપર લાકડી વાગી હતી, જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ મકાન માલિક મુકેશ શાહે ધમકી આપતાં કહ્યું હતું કે, હવે પૈસાની માંગણી ના કરતો આજે તો તને જવા દઉં છું પણ હવે પછી તને નહીં જવા દઉં આમ કહીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ધનરાજના માથામાંથી લોહી નીકળતું જોઈને ધનરાજ અને તેના નાના ભાઈ ધીસારામને બાઈક ઉપર બેસાડીને કલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. સારવાર બાદ ધનરાજ સુથારે મકાન માલિક મુકેશ શાહ ઉપર કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રીપોર્ટર – તેજાજી ચૌહાણ