હાલની સ્થિતિ મુજબ મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષોનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ પધ્ધતિ સર્વોત્તમ છે તેમ જણાવીને રાજ્યના આયુષ નિયામકશ્રીએ આયુર્વેદિક ઉપાયો સૂચવ્યા છે.
આયુષ નિયામકશ્રીના જણાવ્યા મુજબ ભારત વર્ષમાં છ ઋતુઓ વર્તમાન છે. આ દરેક ઋતુ એટલે ભારતીય કેલેન્ડરનો બે-બે માસનો સમયગાળો. આ દરેક ઋતુમાં આપણે આપણી આરોગ્યની જાળવણી માટે ખાન-પાન અને રહેણી – કહેણી પરિવર્તન કરવું જરૂરી છે. ઋતુ અનુસાર વાતાવરણમાં થતાં પરિવર્તનોને કારણે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે. હાલ શિશિર ઋતુ પૂર્ણ થવા જઈ રહી છે અને વસંત ઋતુ શરૂ થઇ રહી છે. અત્યારનો સમય બે ઋતુનો સંધિકાળ છે. જેના પરિણામ સ્વરૂપ આપણને હાલના સમયમાં મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડી અને દિવસનાં સમયમાં ગરમી અનુભવાતી હોય છે. આવા મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષો વિશેષ કરીને કફનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. જેના પરિણામે આપણે વારંવાર એલર્જી, એલર્જીક બ્રોન્કાઇટીસ, અસ્થમા, અને ચેપી રોગો જેવાં કે ફ્લૂ , સ્વાઈન ફ્લૂ સહિતના શ્વસન માર્ગના રોગો ઉપરાંત દાદર, ખરજવું, ઓરી, અછબડાં જેવાં ચામડીના વિવિધ ઇન્ફેક્શનનો ભોગ બનવું પડે છે.
રાજ્યના આયુષ નિયામકશ્રીએ સૂચવેલા આયુર્વેદિક ઉપાયો
- તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
- ઔષધસિધ્ધ જલ : બે ચમચી સૂંઠને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી પ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું.
- ધુપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ ૧૦ ગ્રામ, સરસવ ૧૦ ગ્રામ, લીમડાના પાન ૧૦ ગ્રામ અને ગાયનું ધી ૨૦ ગ્રામ-મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.
- આપણા રસોડામાં રહેલી હળદર આશરે ૩ ગ્રામ ઘીમાં શેકીને મધ સાથે ચાટણ બનાવીને ઉપયોગ કરવો.
- આ ઋતુમાં હરડે ચૂર્ણ-૨ ગ્રામ અને લીંડીપીપર ચૂર્ણ ૧ ગ્રામ મધ સાથે ચાટવાથી ઋતુજન્ય વિકારો સામે રક્ષણ મળે છે.
- આ ઉપરાંત સરકારી આયુર્વેદ દવાખાના/હોસ્પિટલમાં મળતા વિવિધ અમૃતાપેય ઉકાળાઓનું સેવન કરવાથી પણ આ પ્રકારના ઋતુજન્ય વિકારોથી બચી શકાય છે.
- તે જ રીતે આયુર્વેદમાં વર્ણિત શોધનકર્મ અને રસાયણ ચિકિત્સા દ્વારા પણ વિવિધ ઋતુજન્ય વિકારો સામે રક્ષણ મળે છે, ઋતુ અનુસાર આયુર્વેદનાં નિષ્ણાંત વૈદ્યની દેખરેખ હેઠળ શોધનકર્મ તરીકે વમન કરાવવાથી આ પ્રકારના રોગોથી બચી શકાય છે. તે જ રીતે રસાયણ ચિકિત્સાનો પ્રયોગ વૈદ્યની દેખરેખ હેઠળ કરી શકાય છે.
- આ ઋતુમાં ન્હાવા ધોવા અને પીવા માટે હુંફાળા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઋતુમાં ત્વચા શુષ્ક થવાથી ત્વચાના વિવિધ ઇફેકશન થઇ શકે છે. જે માટે લીમડાના પાન, ગરમાળાના પાન, કણજીના પાન, કેસૂડાનાં ફૂલ, વગેરેનો ન્હાવાના પાણી સાથે ઉપયોગ કરી શકાય છે.
- આ ઉપરાંત આયુર્વેદના સદવૃત્ત મુજબ છીંક ખાતી વખતે , ઉધરસ ખાતી વખતે મોઢા આગળ હાથ કે રૂમાલ રાખવો જોઈએ.
- સવાર-સાંજ હળદર મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ.
- દહીં, છાસ, આઈસક્રીમ, શ્રીખંડ, બાસુદી જેવી ઠંડી, ગળપણ અને ચિકાશવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ.
- ખજૂર, ધાણી, મમરા શેકેલા ચણા જેવી હળવી વસ્તુઓ ખાવી.
- સવાર સાંજ ગાયના ધી અથવા દિવેલના બે ટીંપા નાકમાં નાખવા.
- હસ્તધૂનનના સ્થાને ભારતીય સંસ્કૃતિ મુજબ નમસ્કાર કરવા.
- આપની નજીકનાં આયુર્વેદ દવાખાનાની મુલાકાત લઇ ઋતુચર્યા વિષે માહિતી મેળવી ઋતુજન્ય વિકારો સામે રક્ષણ તથા સારવાર મેળવવા જાહેર જનતાને અનુરોધ છે
• ઉકળતા પાણીમાં અજમો નાંખીને નાશ લેવો.