અંજારની કેજી માણેક શાળા નજીકના ખુલ્લા મેદાનમાંથી આજે શુક્રવાર સવારે એક અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી છે. અંદાજિત 30થી 35 વર્ષીય પંજાબી ડ્રેસ પહેરેલી મહિલાનો મૃતદેહ સવારના 9.30 વાગ્યાના અરસામાં સ્થાનિક લોકોના ધ્યાને આવ્યો હતો. જેના પગલે પોલીસમાં જાણ કરાતા અંજાર પોલીસ તુરંત ઘટનસ્થળે દોડી આવી હતી અને શંકાસ્પદ ઘટનાની તપાસ શરૂ કરી હતી. હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ મહિલાની હત્યા કરાઈ છે કે કેમ તે સામે આવશે.
આ મામલે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.40 કલાકે અજાણી મહિલાના મૃતદેહનો જાણ થતાં તપાસ અધિકારી પીઆઇ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ ક્યાં કારણોસર મહિલાનું મૃત્યુ થયું છે તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુવા વયની મહિલાના ગળા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને કોઈ ઈસમો તેના શબને અહીં કાર મારફતે ફેંકી ગયા હોય શકે. કારણકે ઘટનાસ્થળે કારના ટાયરના ચિહ્નો પણ જોવા મળ્યા હતા, તેથી આ ઘટના હત્યાની હોવાની સંભાવના જોવામાં આવી રહી છે.