લોક ડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને સંક્રમણથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ છે

Views 67

  • લોકહિત માટે પોલીસ કામ કરે છે ત્યારે લોકો તકેદારી રાખે અને અન્ય પાસે રખાવે : રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અગાઉની જેમ જ કડક કાર્યવાહી ચાલુ રહેશે
  • કૌમી વૈમનસ્ય ફેલાય તેવા બનાવો સામે અતિ ગંભીરતાથી પગલાં લેવાશે : પશ્ચિમ કચ્છમાં મસ્જિદમાંથી અજાન માટે ઉપયોગમાં લેવાતા માઇક દ્વારા ભડકાઉ ઉચ્ચારણ આપનાર વ્યક્તિની પાસા હેઠળ ધરપકડ
  • દોઢ માસથી કપરા સમયમાં કાર્યરત કર્મીઓને સ્ટ્રેસ ન થાય તે માટે ફેરબદલી તથા સક્રિય ફરજ વચ્ચે આરામ માટે સૂચના કરાઈ
  • સંક્રમણથી મુક્ત થયેલા ૧૦ પોલીસ કર્મીઓ અને ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરનાર ૧૧૦ પોલીસ કર્મીઓ ઉચ્ચ મનોબળ સાથે ફરજ પર હાજર  

રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી.
શ્રી ઝાએ ઉમેર્યુ કે ઉમેર્યુ કે, આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
તેમણે ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિકોને માદરે વતન મોકલવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા દૈનિક ધોરણે વિશેષ ટ્રેનો દ્વારા થઈ રહી છે અને મોટી સંખ્યામાં શ્રમિકો તેમના વતનમાં પહોંચી પણ ગયા છે. જે લોકોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે તેવા શ્રમિકોને વહેલામાં વહેલી તકે પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવાઇ છે ત્યારે, પરપ્રાંતિય શ્રમિકોએ ધીરજ રાખવાની અત્યંત આવશ્યકતા છે. ગઈકાલે સુરત, બોટાદ અને ભરૂચ ખાતે અમુક જગ્યાએ શ્રમિકોએ ધીરજ ગુમાવીને અવ્યવસ્થા સર્જી હતી. આવા શ્રમિકો સંયમ રાખીને વહીવટીતંત્રને સહયોગ આપે તે જરૂરી છે. ઘણી જગ્યાએ હજુ પણ શ્રમિકો પગપાળા તેમના વતન જતા હોય એવું ધ્યાને આવ્યું છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્રને સૂચના આપી દેવાઇ છે. તેમણે સ્થાનિક ટેકટર શેલ્ટરહોમમાં રાખીને બસ કે ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે.
પોલીસ વડાશ્રીએ ઉમેર્યું કે દેશ કોરોનાની મહામારી સામે સંવેદનશીલતા સાથે લડી રહ્યો છે ત્યારે કોમી વૈમનસ્ય ફેલાય તેવા બનાવો કે અફવાઓ ફેલાવવા જેવા બનાવોને અતિ ગંભીરતાથી લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તા.૭મી મેના રોજ પશ્ચિમ કચ્છના ભુજ શહેરમાં એક વ્યક્તિ દ્વારા રાત્રિના સમયે મસ્જિદમાં પ્રવેશ કરી અઝાન માટે ઉપયોગમાં લેવાતા માઇક દ્વારા કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ભડકાઉ ઉચ્ચારણો કર્યા હતા. આ સંદર્ભે તે વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરીને પાસા હેઠળ સુરત જેલના હવાલે મોકલી દેવામાં આવ્યો છે. એ જ રીતે પશ્ચિમ કચ્છના નિરોણા પોલીસ સ્ટેશનમાં અને ભુજ શહેરના પોલીસ સ્ટેશનમાં સોશ્યલ મિડિયા દ્વારા કોમી લાગણીઓ ઉશ્કેરાય તેવી પોસ્ટ મૂકવાનો એક ગુનો નોંધાયો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં પણ અગાઉ સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકવાના ગુનામાં આરોપીની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. એટલે લોકોને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન કરવા અપીલ પણ કરાઈ છે.
લૉકડાઉનના ચુસ્ત અમલ દરમિયાન અન્ય રાજ્યોમાં જવા માગતા લોકો માટે તંત્ર તરફથી જરૂરી પાસ અને મંજૂરી આપવામાં આવે છે. તેનું ફરજ ઉપરના પોલીસ જવાનો દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવે છે. જેમાં નકલી પાસ બનાવી આપવાના બે બનાવો પકડી પાડવામાં આવ્યા છે. તેનો ઉલ્લેખ કરતા શ્રી ઝાએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં કલેકટર કચેરીના બોગસ સિક્કા મારી નકલી પાસ વેચનાર ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ઝારખંડના શ્રમિકોને બસના પાસના આધારે તેમના વતન મોકલવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવી ફોજદારી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કપરા સંજોગોમાં પણ રાજ્યના પોલીસ જવાનો છેલ્લા દોઢ માસથી સતત ખંત અને મહેનતથી ઉત્તમ રીતે ફરજ બજાવી રહ્યા છે. તેમનું મનોબળ વધારતાં શ્રી ઝાએ જણાવ્યું હતું કે, પોલીસ જવાનોને સ્ટ્રેસ ન થાય તે માટે સમયાંતરે ફેરબદલી કરવાની સાથે સક્રિય ફરજમાં જરૂરી આરામ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ જરૂરી સારવાર મેળવી વધુ ૧૦ પોલીસ કર્મીઓ સંક્રમણથી મુક્ત થયા છે અને ૧૧૦ પોલીસ કર્મીઓ હોમ ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂરો કરીને તેમની ફરજ ઉપર પુનઃ હાજર થયા હોવાનું પણ શ્રી ઝાએ વધુમાં ઉમેર્યું હતું
શ્રી ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૧૦ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૩,૦૫૦ ગુના દાખલ કરીને ૨૩,૫૪૭ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૯૨ ગુના નોંધીને ૯૧ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૩,૪૦૩ ગુના નોંધીને ૪,૫૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શ્રી ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૭૨૦ ગુનામાં કુલ ૯૯૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે આજ સુધીમાં ૭૯૯ ગુના દાખલ કરીને ૧,૬૫૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા અત્યાર સુધીમાં ૭૫૭ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વિડિયોગ્રાફી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR), કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન તથા PCR વાનના માધ્યમથી ગઇકાલથી આજદિન સુધીના ૨૯૧ ગુના મળી કુલ અત્યાર સુધીમાં ૭,૧૧૪ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૧,૯૮૫ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૦૩ ગુના તથા અન્ય ૬૩૫ ગુના મળી કુલ ૩,૩૨૩ ગુનાઓ દાખલ કરી કુલ ૩,૯૧૩ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૫,૮૩૯ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૪,૮૬૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૬,૫૩૬ અને અત્યાર સુધીમાં ૨,૪૧,૨૨૮ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *