અંદાજીત 24 લાખ 50 હજાર રૂપિયાનું સોનાનું દાન માઇભક્તે આપ્યું
ભાદરવી પૂનમને લઇને આજે અંબાજીમાં ભરક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે, ત્યારે અંબાજી મંદિરના સુવર્ણમય શિખરની કામગીરીમાં માઇભક્ત દ્વારા મા અંબાને 500 ગ્રામ સોનુ અર્પણ કરાયું છે. અંદાજીત 24 લાખ 50 હજાર રૂપિયાનું સોનાનું દાન માઇભક્તે આપ્યું છે.
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે આજે ભાદરવી પૂનમને લઇ લાખો ભક્તો માના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના નવનીતભાઇ શાહ નામના માઈ ભક્તે 500 ગ્રામ સોનું દાન કર્યું હતું.
અમદાવાદના નવનીતભાઇ શાહ દર વર્ષે 1 કિલો સોનું દાન કરે છે. છેલ્લા વીસ વર્ષથી સતત આ પરંપરા નિભાવી છે. મા અંબાના સોનાના શિખરની કામગીરી ચાલી રહી છે. ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે માઇભક્તો થકી મા અંબાનું અંબાજી મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.
યાત્રાધામ અંબાજીને આખા ભારતમાં સૌપ્રથમ સંપૂર્ણ રીતે સોનાનું બનાવવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા માઈ ભક્તો પોતાની યથાશક્તિ મુજબ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે સુવર્ણદાન કરવા માટે દાતાઓ પણ આગળ આવી રહ્યા છે.