સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર
સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
ગાંધીનગરના સેકટર-26 ન્યુ ગ્રીનસિટીમાં રહેતા શિક્ષક દંપતીનાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ. રૂપિયા 97 હજારની મત્તા સાફ કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેને લઈ સેકટર- 21 પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણાનાં બીલીયાં ગામે રહેતા ખેડૂત સાંકળચંદ છગનભાઈ પટેલનો દિકરો મનોજભાઈ અને તેમની પત્ની જાસ્મિન ગાંધીનગરની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેથી કરી શિક્ષક દંપતી સેકટર- 26 ન્યૂ ગ્રીનસિટી પ્લોટ નંબર G- 5 ખાતે ભાડાના મકાનમાં રહે છે. પુત્ર ગાંધીનગરમાં રહેતો હોવાથી સાંકળચંદ પણ અવારનવાર અહીં આવતા જતા રહે છે.
પુત્રને ડેન્ગ્યુ હોવાનું સામે આવતા તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો
ગત તા. 11 સપ્ટેમ્બરના રોજ પુત્રને તાવ આવતા પતિ- પત્ની તેને લઈને વતન બીલીયા ગામ જતાં રહ્યાં હતાં. જ્યાં નિદાન કરાવતા પુત્રને ડેન્ગ્યુ હોવાનું સામે આવતા તેને મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી મનોજભાઈનું સેકટર- 26નું મકાન બંધ હાલતમાં હતું. ત્યારે ગઈકાલે સોમવારે બપોરે મનોજભાઈનાં મકાનની સામે રહેતા બાબુજી વાઘેલાએ ઘરનો દરવાજો તૂટેલો હોવાની જાણ કરી હતી. જેનાં પગલે મનોજભાઈ અને તેમના પિતા ગાંધીનગર આવી પહોંચ્યાં હતા. જ્યા ઘરના દરવાજોનો નકુચો તૂટેલો હતો અને અંદરનો સર સામાન વેર વિખેર હતો. તેમજ તિજોરીના લોક પણ તૂટેલા હતા.
સોનાનો દોરો, વીંટી સહિતના સામાનની ચોરી
જેથી તપાસ કરતા તિજોરીમાંથી દોઢ તોલા વજનનો સોનાનો દોરો કિં. રૂપિયા 65 હજાર, બે નંગ વીંટી કિં. રૂ. 20 હજાર તેમજ 12 હજારનું ચાંદીનું બ્રેસલેટ મળી કુલ. રૂપિયા 97 હજારની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડયું હતું. આ બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.