સુરતઃડોલર સામે ફરી રૂપિયાની સ્થિતિ નબળી થતાં તેની સીધી અસર શહેરના હીરાબજાર પર પડી છે. જેથી હાલ હીરા ઉદ્યોગમાં મંદીના મંડાણ શરૂ થઈ ગયાં છે. કટ અને પોલિશ્ડની ડાયમંડની પરવડે તેવી મજૂરી માટે પણ જાણીતા સુરતની કેટલીક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાસે હાલમાં મર્યાદિત જથ્થામાં કામ રહ્યું છે.
મધ્યસ્થીથી રત્નકલાકારોનું સમાધાન
રત્નકલાકારોના ફિક્સ પગારની જગ્યાએ જોબ પ્રમાણે પગાર ફેરબદલી દર શરૂ કરવાની પ્રથા નવી ચલણમાં આવી છે. જેને લઇને શહેરની વધુ એક હીરા કંપનીના 140 રત્નકલાકોરને પગારમાં ફેરફાર કરાયો હતો. જેનો વિરોધ રત્નકલાકારો દ્વારા કરાતાં કંપનીએ તેમને છૂટા કરી દીધા હતા. જોકે રત્નકલાકાર સંઘે મધ્યસ્થી કરતાં સંચાલકોએ ફરી રત્નકલાકારોને જન્માષ્ટમી પછી કામે વળગવાનું સૂચન કર્યું છે.
અઠવાડીયામાં હીરા ઉદ્યોગમાં બેથી ત્રણ રજા
હીરાઉદ્યોગમાં રફના ઊંચા ભાવો અને પોલિશ્ડ ડાયમંડની માંગમાં અભાવના કારણે છેલ્લા છ મહિનાથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેક્ટરીઓમાં 2થી 3 દિવસની રજાઓ આપવાની સ્થિતિ આવી ગઇ છે. ત્યારે એ. કે. રોડ, ભવાની સર્કલ પાસે આવેલા અક્ષર ડાયમંડના સંચાલકો દ્વારા 140 જેટલા રત્નકલાકારોની મજૂરીના ભાવમાં ઘટાડો કરી છૂટા કરી દેવામાં આવતાં માહોલ ગરમાયો હતો. રત્નકલાકારો મિનીબજાર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાદમાં સુરત રત્નકલાકાર સંઘમાં રજૂઆત કરવામાં આવી હતી.
રત્નકલાકારોને મળતી મજૂરીમાં થયો ઘટાડો
રત્ન કલાકાર સંઘના જયસુખ ગજેરાના જણાવ્યાનુસાર, રત્નકલાકારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સંચાલકો દ્વારા જે મજૂરી મળતી હતી તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મુદ્દે સવારે મેનેજરને રજૂઆત કરવામાં આવતાં તેઓએ મજૂરી દરમાં કોઈ ફેરફાર નહીં કરવાનું જણાવી છૂટા કરી દેવાનું સૂચન કર્યું હતું. જેને લઇને લઇને રત્નકલાકાર સંઘે કંપનીના સંચાલક વર્ગ સાથે મિટિંગ કરી હતી. જેના પરિણામ રૂપ જન્માષ્ટમી પછી રત્નકલાકારોને ફરી કામે પરત ફરવા રત્નકલાકારોને સૂચન કર્યું હતું.