આજ સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે. આજથી શરુ થઇ રહેલા કાર્નિવલની મોજ 31 ડિસેમ્બર સુધી માણી શકાશે. કાંકરિયા કાર્નિવલમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી શકે છે જેને લઇ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું ખાસ પાલન કરવામાં આવશે. લોકોને ખાસ માસ્ક પહેરવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે.
આજથી શરુ થતા આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન લોકોને કરાવશે . કાંકરિયા કાર્નિવલમાં કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે. તેના પર રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે તેમજ તેની સાથે રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે.
કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજાશે
અમદાવાદમાં 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ તેમજ જાન્યુઆરીમાં ફ્લાવરશોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.