પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: સંધ્યા સભા – ‘ગુરુ ભક્તિ દિન’BAPS સંસ્થામાં ગુરુભક્તિનું અનેરું મહત્ત્વ
- ગુરુભક્તિથી થયાં વિરાટ કાર્યો
ગુરુભક્તિના આદર્શ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતાં દેશના મૂર્ધન્ય મહાનુભાવો
- ઉત્તમ ગુરુ અને ઉત્તમ શિષ્ય તરીકે વિશ્વના પથદર્શક એવા પ્રમુખસ્વામી મહારાજની વિરલ ગુરુભક્તિ વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિ
આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા. પ્રમુખસ્વામી મહારાજના ગુરુભક્તિમય જીવન અને કાર્યને દર્શાવતાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના લાખો લોકો જોડાયા હતા.
આજે પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગુરુદેવ તુમ્હારે ચરણ’ મેં કીર્તન પર સંગીત વૃંદ દ્વારા વિરલ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના-અંજલિ આપવામાં આવી હતી.
આદર્શ શિષ્ય અને આદર્શ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં વણાયેલી અદ્ભુત ગુરુભક્તિના પ્રસંગોનું પાન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચન શ્રેણી અંતર્ગત કરાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે “ગુરુભક્તિ આ સંસ્થાનો પ્રાણ છે. પ્રમુખસ્વામી મહારાજ આદર્શ ગુરુભક્ત હતા. આધુનિક યુગમાં તેમણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂર્ણ કરીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઓળખ આપી. આજે લાખો ભક્તો ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું ગુરુ ઋણ ચુકવવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં વિરાટ કાર્યો કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.”
સભામાં આગળ ‘ગુરુ પરમેશ્વર રે’ કીર્તન દ્વારા અખંડ ભગવાનમય એવા આદર્શ ગુરુના મહિમાને અને પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિને નિરૂપતી સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
‘ગુરુભક્તિનો આદર્શ’ વિષય પર BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કરેલાં સર્જનોની પાછળ રહેલી ગુરુભક્તિ વિષે પ્રકાશ પાડ્યો હતો.