છેતરપિંડી:સતલાસણાની ભારત ફાઇનાન્સનો કર્મી 48 ગ્રાહકોના 4.47 લાખ ચાઉં કરી ગયો
- બાયડના શખ્સે ગ્રાહકોના હપ્તાના નાણાં કંપનીમાં જમા નહીં કરી ઘરભેગા કર્યા
- બ્રાન્ચ મેનેજરે ઉચાપત અંગે કર્મચારી સામે ફરિયાદ નોંધાવી
સતલાસણા ખાતે આવેલી ભારત ફાઇનાન્સ નામની ખાનગી કંપનીના કર્મચારી દ્વારા 48 ગ્રાહકોના હપ્તાના અને પ્રિમિયમનાં નાણાં કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ઘરભેગા કરાતાં કંપનીના બ્રાન્ચ મેનેજરે આ કર્મચારી સામે રૂ.4.47 લાખની ઉચાપત મામલે ફરિયાદ નોંધાવી છે.સતલાસણા હાઇવે પર આવેલી ભારત ફાઇનાન્સ નામની ખાનગી ફાઇનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર, બ્રાન્ચ ક્રેડિટ મેનેજર અને છ ફિલ્ડ ઓફિસર સહિતના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.
જેમાં બાયડ તાલુકાના જલમપુરા વજાવત ગામના મુકેશભાઈ પર્વતભાઈ નેવી ડેરી નામના કંપનીના કર્મચારીએ કંપનીમાં છેલ્લા બે માસ દરમિયાન થયેલા કલેક્શન પૈકી કેટલાક ગ્રાહકોના રિકરિંગ ડિપોઝિટ સહિતનાં નાણાં કંપનીમાં જમા નહીં કરાવ્યા હોવાની ગ્રાહકોની રજૂઆત મળી હતી. જેને પગલે કંપની દ્વારા ઓડિટ કરવામાં આવતાં કર્મચારી મુકેશભાઈ દ્વારા બે મહિનામાં કુલ 48 ગ્રાહકોના રૂ.4,29,293 અને કેશ કાઉન્ટરના રૂ.18,520 મળી કુલ 4,47,000ની રકમ કંપનીમાં નહીં જમા કરાવી બારોબાર ઘર ભેગી કરી અંગત કામમાં વાપરી નાખી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.
આથી સતલાસણા રહેતા કંપનીના બ્રાન્ચ મેનેજર કિશનજી સોમાજી સોલંકીએ સતલાસણા પોલીસ મથકે કંપનીના કર્મચારી મુકેશભાઈ વિરુદ્ધ રૂ.4.47 લાખની ઉચાપત મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – ગાયત્રીબેન ઝાલા