રાજકોટ સિવિલમાં તબીબ-આયાની નિર્દયતા:વૃદ્ધાને બેડ પરથી ઉઠાવી બહાર ફેંકી દીધાં, સાત કલાક સુધી તડપતા રહ્યાં
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારે વહેલી સવારે તબીબ વ્યવસાયને લાંછન લાગે તેવું કૃત્ય હોસ્પિટલના એક રેસિડેન્ટ અને ત્રણ ઈન્ટરની ડોક્ટરોએ કર્યું હતું. વોર્ડ નં.10માં દાખલ બિનવારસ વૃદ્ધાને વોર્ડની બહાર ફેંકી દેવાયા હતા. બપોરે આ ઘટના પ્રકાશમાં આવતા અંતે તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને આ મામલે ભાસ્કરે જાણ કરી હતી અને તેમણે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ જોઇને આ ઘટના ખૂબજ ગંભીર અને તંત્ર જ તેના માટે જવાબદાર હોવાનું કબૂલ્યું હતું.
આ મામલે પગલાં લેવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરાઈ છે જે તપાસ કરશે અને આ ઘૃણાસ્પદ કૃત્યમાં જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેશે તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરશે તેવું જણાવ્યું છે. મોરબીમાં રહેતા હસીનાબેન હુલ્લાભાઇ માલસ (ઉ.વ.60)ને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેમને વોર્ડ નં.10માં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે વહેલી સવારે વોર્ડના રેસિડેન્ટ ડોક્ટર આકાંક્ષાએ વૃધ્ધાને વોર્ડ બહાર ખડેવા આયાબેન વંદનાબેનને સુચના આપી હતી.
વંદનાબેને વૃદ્ધાને વ્હીલચેર પર બેસાડી દીધા હતા અને ત્રણ ઈન્ટર્ની ડોક્ટરે તે વ્હીલચેર વોર્ડની બહાર નવી હોસ્પિટલ સામે લઈ જઈ ત્યાંના બાકડાં પર વૃધ્ધાને ફેંકી ત્રણેય જતા રહ્યા હતા. હલીચલી પણ નહીં શકતા વૃધ્ધાને આ ડોક્ટરોએ રજિસ્ટર પર જાતે નાસી ગયાનું દર્શાવી તમામ હદ વટાવી દીધી હતી.
*ત્રણ દિવસ પૂર્વે પણ એક વૃદ્ધને ફેંકી દેવાયા હતા.
બિનવારસ અને મૃત્યુ પથારીએ પડેલા કોઇ વ્યક્તિને જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે કેટલાક ડોક્ટર્સ તેમની સારવાર કરવાને બદલે તેમને વોર્ડની બહાર ફેંકવાના કરતૂતો કરે છે, શનિવારે સવારે મોરબીના વૃદ્ધાને બહાર ફેંકી દેવાયા હતા તે પહેલા ગત તા.30ના સવારે એક સાધુ જેવા પ્રૌઢને પણ વોર્ડની બહાર હોસ્પિટલ સ્ટાફ ફેંકી આવ્યો હતો, કલાકો સુધી એ પ્રૌઢ બહાર પડ્યા રહ્યા હતા અંતે તેમને પણ કોઇ જાગૃત નાગરિકે ફરીથી દાખલ કરાવ્યા હતા.
*અઠવાડિયામાં સરેરાશ બે લાશ હોસ્પિટલ કેમ્પસમાંથી મળે છે
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી સરેરાશ બે અજાણ્યા વ્યક્તિની લાશ મળે છે, હોસ્પિટલમાં બિનવારસ અને અતિ ગંભીર હાલતમાં દાખલ થતી અજાણી વ્યક્તિની સારવાર કરવાના બદલે તેમને બહાર ફેંકી દેવાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હોસ્પિટલ કેમ્પસમાંથી અઠવાડિયે સરેરાશ બે બિનવારસ લાશ મળે છે. છેલ્લા છ મહિનાના આવા કેસ તપાસમાં આવે તો આવા નિષ્ઠુર તબીબોની વરવી ભૂમિકા બહાર આવી શકે.
અહેવાલ – ઈલા મારૂ