મોતની ધમકી પર યુવરાજ હચમચી ગયો:‘મેં ક્યાં ઈશનિંદા કરી છે, મેં તો ઉદયપુરના કનૈયાની હત્યાને વખોડી તોપણ મોતની ધમકી મળી, હવે ફેમિલીની ચિંતા છે’
ગુજરાતના સુરતના એક યુવક યુવરાજને રાજસ્થાનના કનૈયાલાલની જેમ જ હત્યા કરવાની ધમકી મળી છે. કનૈયાલાલની હત્યાની સોશિયલ મીડિયામાં ટીકા કરવાને કારણે ધમકી આપવામાં આવી છે. ત્યારે યુવરાજ પોખરાણાએ આ અંગે ખાસ વાત કરી હતી.
*મેં તો માત્ર ટીકા કરી હતી
યુવરાજે જણાવ્યું હતું કે રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની જે હત્યા થઈ એને લઈને એક ન્યૂઝ એજન્સી દ્વારા ન્યૂઝની પોસ્ટ કરવામાં આવી હતી, જેથી ન્યૂઝના ઉત્તરમાં એક કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટમાં લખ્યું હતું કે આ ટોપી પહેરવાવાળી પ્રજાતિ માનવતાની દુશ્મન છે અને માનવતાની ઘૃણા કરે છે. આમાં મેં કોઈ સમુદાય કે વિશેષ સંપ્રદાયનું નામ નથી લીધું. *ધમકી આપનારના સપોર્ટમાં પણ અન્ય યુવકો આવી ગયા
કોમેન્ટ પર એક ફૈઝલ નામના યુવકે કોમેન્ટમાં જવાબ આપ્યો હતો. કોમેન્ટમાં લખ્યું હતું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા. એટલે કે સીધી જ સર કલમ કરવાની ધમકી મળી હતી, જેને લઈને ધમકી આપનારના સપોર્ટમાં પણ અન્ય યુવકો આવી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક પોલીસ કમિશનર કચેરીમાં જાણ કરી હતી.
*પરિવારની સુરક્ષાની ચિંતા
ધમકી મળ્યા બાદ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. 12 કલાકમાં જ આ સંબંધિત પોલીસ દ્વારા કોલ આવી ગયો હતો. સાયબર સેલ, ક્રાઈમ સેલના અધિકારીઓ મળી ગયા હતા. તાત્કાલિક અરજી લઈને સુરક્ષા આપવામાં આવી છે. હાલ તો મને મારા પરિવારની સુરક્ષાની ચિંતા છે, જેને લઈને મારા પરિવારને એક અલગ જ જગ્યા પર ખસેડ્યો છે અને હું એકલો રહું છું. પોલીસે આશ્વાસન આપ્યું છે કે કંઈપણ હોય, ગમે ત્યારે કોલ કરો.