જોધપુર: અહીંથી 20 કિમી દૂર જાલેલી ફૌજદરા ગામની પાસે મંગળવારે સવારે 9 વાગે એરફોર્સનું મીગ 27 પ્લેન ક્રેશ થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાઈલટને બહાર નીકળવામાં સફળતા મળી છે. પ્લેન ક્રેશ થતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. ઈન્ડિયન એરફોર્સે જણાવ્યું કે, પ્લેન રુટીન પેટ્રોલિંગ માટે નીકળ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે. આ એક્સિડન્ટ કેમ થયો તેની તપાસ કરવામાં આવશે.
મળેલી માહિતી પ્રમાણે મિગ તેના રુટીન પેટ્રોલિંગ માટે નીકળ્યું હતું. ટેકઓફના 15 મિનિટમાં જ પાઈલટે કંટ્રોલ રુમને જણાવ્યું હતું કે, વિમાનના એન્જિનમાં આગ લાગી છે. ત્યારપછી પાઈલટ પ્લેનને રહેણાંક વિસ્તારમાંથી ખેતર તરફ લઈ ગયો હતો અને પોતાની જાતને પણ બચાવી હતી.
પ્લેન ક્રેશ થયા પછી સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં આ પ્લેન ક્રેશ થયું છે તે એક ખાલી મેદાન જેવો વિસ્તાર હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.