મુખ્ય સૂત્રધાર પોતાના લગ્ન થતાં ન હોવાથી કેનાલ પાસે બેઠેલા કપલને કરતો હતો ટાર્ગેટ
પોલીસ તપાસમાં દસ ગુનાનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો.
અડાલજની ઝૂંડાલ નર્મદા કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો ગુનો આચરનાર ગેંગ દ્વારા દિલ્હીની જામિયા ઈસ્લામિક યુનિવર્સિટીના વિદ્યાર્થીને છરી બતાવીને રૂ. 35 હજારની મતાની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે અડાલજ પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અડાલજની ઝૂંડાલ નર્મદા કેનાલ પાસે લૂંટ મર્ડરની ઘટનાઓ પ્રકાશમાં આવતાં ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર (રહે. બંસીની ચાલી, નરોડા, મૂળ કડાદરા, દહેગામ) અને તેના સાગરિતો દિપક કલાજી ઠાકોર (રહે. કડાદરા, દહેગામ) અને કિરણ ઉર્ફે ગેડ્યો આતાજી ઠાકોર (રહે. સુથારવાસ, કડાદરા, દહેગામ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જેમાં મુખ્ય સૂત્રધાર વિપુલ સાઈકો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જે પોતાના લગ્ન થતાં ન હોવાથી કેનાલ પાસે બેઠેલા કપલને ટાર્ગેટ કરી ઘાતકી હુમલો કરી લૂંટ કરતો હતો. પોલીસ તપાસમાં દસ ગુનાનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો હતો. ત્યારે આ લૂંટારૃઓએ દિલ્હીની જામિયા ઈસ્લામિક યુનિવર્સિટીના વિદ્યાર્થીને પણ લૂંટી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદ રિવર ફ્રન્ટ પાસે આવેલી મેઘદૂત સોસાયટીમાં રહેતા મૃણાલ ભરતભાઈ શાહ દિલ્હીની જામિયા ઈસ્લામિક યુનિવર્સિટીમાં ઓનલાઈન અભ્યાસ કરે છે. જેની માતા નાસા ફાઉન્ડેશનમાં નોકરી કરે છે. ગત તા. 14મી ઓક્ટોબરના રોજ મૃણાલ કાર લઈને સુઘડ નર્મદા કેનાલ પાસે રાત્રીના સમયે ઊભો હતો, તેવા સમયે બાઈક પર સવાર થઈ ત્રણ લૂંટારુઓ આવ્યા હતા અને મૃણાલને લાફો મારી અને છરી બતાવીને સોનાની વીંટી અને મોબાઈલ મળી રૂ. 35 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગે અડાલજ પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.